આંસુ અને આશા વચ્ચે જિંદગીના ઝંઝાવાતમાંથી પતિને ઉગારનાર નારીરત્ન સોનલબેન સાકરીયા
હીમોફીલિયા રોગ સામે દેશમાં જાગૃતા લાવનાર સોનલબેનના સમર્પણની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ
હીમોફીલિયા સોસાયટીની સ્થાપના કરી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સાથે રોગ સામે લડતા શીખવ્યું

સંઘર્ષમાંથી ચાતર્યો સફળતાનો ચીલો અને પોતાનું જીવન માત્ર પોતાના માટે સીમિત ના રાખતાં, સમાજને પણ ઉત્તમ પ્રદાન કરી આવી અનેક સ્ત્રીઓ સમાજમાં નિષ્ઠાથી કામ કરી રહી છે. ટાંચા સાધનો, આર્થીક સંકડામણ અને તબિયતની અનિશ્ચિતતા વચ્ચે પતિનો વારસાગત, ખર્ચાળ અને જીવલેણ રોગ સામે ઝઝૂમી નવજીવન આપી હવે આ રાજરોગ પ્રત્યે જન જાગૃતતા લાવવા અનોખો સેવા યજ્ઞ ચલાવતા સોનલબેન સાકરીયા આજે હીમોફીલિયા નામના રોગને કારણે બીજા 700થી વધુ હીમોફીલિયાના દર્દીઓ માટે દાદી, મા, બહેન કે ભાભી બની ગયા છે.

રાજકોટના નારીરત્ન સોનલ સાકરીયાની આ પહેલથી અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. સંયુકત કુટુંબમાં ચાર ભાઈઓ વચ્ચે જન્મેલા એક ના એક, લાડકોડમાં ઉછરેલા ૧૮ વર્ષના સોનલબેનના પ્રણય સંબંધની સર્વાત સાલ ૧૯૯૧થી થઈ તેમના પતિ પરેશ સાકરીયા કે જે હીમોફિલીયા નામની વારસાગત બીમારી ધરાવે છે. જે વાત સોનલબેને તેઓએ પ્રણય સંબંધ પૂર્વે જ સમજાવેલ ત્યારે સોનલબેને પરેશભાઈને કહેલ કે “મારો પ્રેમ તારી ખૂબી માટે છે એટલો જ તારી આ લોહીના જામવાની ખામી માટે પણ છે” આંતરજ્ઞાતિય લગ્ન, લાડકી દીકરીનું ભવિષ્ય વગેરે જોતા આ લગ્નનો પરિવારે વિરોધ કર્યો ત્યારે સોનલબેને પરિવારને સમજાવ્યો કે, હું નોર્મલ વ્યકિત સાથે લગ્ન કરું અને પછી તેને કોઈ બીમારી થાય તો છોડી શકું? કે મને બીમારી થાય અને તે મને છોડીદે, તો કેવું લાગે? અંતે પરિવારજનોની સંમતિ મળી અને લગ્ન બન્નેના લગ્ન થયા અને એક સુખી છતાં સંઘર્ષ ભર્યું દામ્પત્ય જીવન ચાલુ થયું. સોનલબેને પરેશભાઈના રકતસ્ત્રાવ વખતે એમની સારવાર, સંભાળ તેમજ કારખાનામાં મદદ કરી તેથી ખર્ચાળ સારવારમાં આર્થિક રાહત રહે. સમય સાથે પ્રભુકૃપાથી ૨ બાળકોનો જન્મ અને તે બાળકોનું ભણતર તેમજ પરવરીશનો પડકાર ઉપાડયો વર્ષ 2012માં હીમોફીલિયાને કારણે પરેશભાઈની તબિયત બગડી અને ફેફસા, કિડની, મગજ તેમજ શરીરના દરેક અંગો અને સ્નાયુમાં રકતસ્ત્રાવ થયો પરેશભાઈને આઇસીસીયુમાં વેન્ટિલેટર ઉપર 29 દિવસ સુધી રાખવામાં આવ્યા જેમાં દર ૫ કલાકે મોંઘા ઈન્જેકશનની જરૂરિયાત પડતી હતી. વિશ્વના નિષ્ણાત ડોકટર્સને મેઈલથી રિપોર્ટ મોકલતા પરેશભાઈની હાલત ખૂબ નાજુક હતી છતાં સોનલબેને હાર માન્યા વગર પતિની સેવા અને સારવાર કરી અને આજે પણ પરેશભાઈ સોનલબેનની સાથે હસીખુશી થી જીવન જીવે છે. આ ખરેખર એક ચમત્કાર હતો, જાણે કે સાવિત્રી સત્યવાનની વાતની જેમ સોનલબેને પોતાના પતિની ગંભીર માંદગી વખતે રાત દિવસ ઊંઘ વગર સતત ભગવાનને પ્રાર્થના કરી અને નિરાશ થયા વગર આઈસીસીયુમાં આંસુ અને આશા વચ્ચે આ જિંદગીના ઝંઝાવાત માંથી પરેશભાઈને ઉગાર્યા કુલ ૬૪ દિવસ હોસ્પિટલમાં રહ્યા અને રૂ.1 કરોડ 24 લાખનું બીલ થયું. પરેશભાઈ હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ સોનલબેને ઘેર બાકીની ૨ વર્ષ પોતે જાણે ડોકટર હોય તેમ સારવાર આપી.
વર્ષ 2011માં સોનલબેને હીમોફીલિયા સોસાયટી રાજકોટમાં સક્રિય સેવા આપવાની ચાલુ કરી. સૌરાષ્ટ્રના હીમોફીલિયા દર્દીઓની માટે માં અને મોટી બહેનની જેમ ગમે તે સંજોગોમાં હસતા સેવા કરવાનું શરૂ કર્યું અને એની સેવાની સુવાસ અને તેમનુ હીમોફીલિયા માટેના સમર્પણની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ અને ૨૦૧૩માં આંતરાષ્ટ્રીય ટ્રેનિંગ અને પશ્ચિમ ભારતના હીમોફીલિયા ફેડરેશનના વુમન ગ્રુપ ચેરમેનની જવાબદારી સોનલબેનને મળી અને સોનલબેન રાજકોટથી દિલ્હી મિટિંગમાં પણ જતાં ત્યારે ભાષાની સમસ્યા પણ સર્જાતી હતી છતાં સોનલબેને બધાને મહાત કરી અને એટલું સુંદર કામ કર્યું કે ૨૦૧૬માં રાષ્ટ્રીય સંસ્થા હીમોફીલિયા ફેડરેશનના વુમન ગ્રુપના ચેરપરસન તરીકે વરણી થઈ અને સોનલબેન આખા દેશના હીમોફીલિયાના દર્દીઓ અને બહેનો, માતાના રાહબર બન્યા
સોનલેબેને વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હીમોફીલિયાના દર્દી પછી બીજું કોઈ સહન કરતું હોય તો તે મહિલા હોય છે. 2011 માં 8 થી 10 મહિલા સાથે શરૂ કરેલ ગ્રુપમાં આજે અનેક મહિલાઓ જોડાઈ છે. હાલ તેઓ મહિલાનું ગ્રુપ ચલાવે જે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મદદ કરે છે. ઉપરાંત હીમોફીલિયાના દર્દીઓ માટે શું તકેદારી રાખવી તેમજ ઘરે તેમની કઈ રીતે સારવાર કરવી અને દેખભાળ રાખવી તે સહિતની બાબતો ઉપર નિષ્ણાંત તબીબોનો સેમિનાર યોજવામાં આવે છે.
આ મહિલા શકિતને સલામ કરવાનું મન થાય કારણકે કોઈપણ હોસ્પિટલમાં દર્દી હોય, કેમ્પ હોય, બહેનોના આર્થિક સ્વતંત્રની વાત હોય સોનલબેનતો પહેલા જ હોય. સરકાર પાસે આ પ્રકારના દર્દીઓને મદદ માટેની માંગણીમાં અગ્રેસર રહી સમગ્ર ગુજરાતમાં મોંઘાં ભાવના ઈન્જેકશન ઉપલબ્ધ કરાવ્યા. અશોક ગોંધીયા હીમોફીલિયા કેર સેન્ટર ખાતે યોગ, એરોબિકસ અને હીમોફીલિયાના દર્દીઓ માટે ઉત્થાન પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.
મહિલાઓ કોમળ જરૂર છે પણ કમજોર નથી:સોનલબેન સાકરીયા
સોનલબેન સાકરીયાએ સ્ત્રીઓને સંદેશ આપતા જણાવે છે કે,બધી જ નારીઓ ”આગળ આવો, તમે કોમળ જરૂર છો, કમજોર નથી અને હમેંશા તમામ સ્થાનથી ઉપર વિશ્વ નિહાળો,“સ્ત્રી અથવા નારીત્વ એટલે શું “? તો સૌંદર્ય સાથેની સમજણ, ત્યાગ સાથેની મકમતા, લાગણીઓનો અખૂટ ભંડાર, કોમળ હૃદય સાથે મગજથી મક્કમ, સંસ્કારની સાથે સન્માન, પરિવારની ઈજ્જત, પરિવારનું ગૌરવ. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે માતા સીતા તેમના ચારિત્ર અને શક્તિ એક મિશાલ છે. આજની સ્ત્રીઓ ક્યાંય પણ કમજોર નથી.