‘મહારાજ’ ફિલ્મ પુષ્ટિમાર્ગને બદનામ કરનારી : આજે રાજકોટમાં રેલી
ફિલ્મના હિન પ્રકારના સંવાદોને કારણે વૈષ્ણવોની લાગણી દુભાતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાશે
પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયની બદનામ કરવાનો પ્રયાસ કરતી ફિલ્મ મહારાજ સામે રાજકોટમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, રાજકોટના વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા અગ્રણીઓએ કોઇ પણ ધર્મ-સંપ્રદાયને ઉતારી પાડી તેમની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ નિંદનીય છે એવો મત વ્યક્ત કરી આ ફિલ્મ પર હંગામી નહીં, કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવાની માંગ સાથે આજે સ્કૂટર રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
યશરાજ ફિલ્મના બેનર હેઠળ બનેલી ફિલ્મ મહારાજ હિન્દુ ધર્મ તેમજ સનાતન સંસ્કૃતિને બદનામ કરવાના આશયથી બનાવવામાં આવી હોવાનો વૈષ્ણવ અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયે આરોપ લગાવવામાં આવ્યો છે. વિવાદિત આ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની રાસલીલાને પણ ખોટી રીતે દર્શાવવામાં આવેલ છે. જેથી આ ફિલ્મ રિલીઝ ન થાય તે માટે વૈષ્ણવો દ્વારા ગઈકાલે પોલીસ કમિશનર રાજકોટને કાયદાકીય કાર્યવાહી માટે રજુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વૈષ્ણવોએ ગુજરાત હાઈ કોર્ટમાં ધા નાખતાં અદાલતે ફિલ્મની રિલીઝ ઉપર 18મી જૂન સુધી રોક લગાડી છે. વલ્લભ સંપ્રદાયને ફિલ્મમાં ખરાબ ચીતરવાનો પ્રયાસ કરાયો છે અને તેના કારણે સંપ્રદાય પ્રત્યે નફરત અને હિંસાની લાગણી જન્મી શકે છે, એવી અરજીકર્તાઓની દલીલને અદાલતે માન્ય રાખતા સ્ટે આપ્યો છે. ફિલ્મ પર પ્રતિબંધની માગ કરતી અરજી માત્ર ગુજરાતના વૈષ્ણવો તરફથી જ નથી થઈ, વિશ્વભરમાંનાં વિવિધ પચીસ ટ્રસ્ટો પણ આમાં જોડાયાં છે ત્યારે ફિલ્મ મહારાજ મામલે જશુબાઈ વૈષ્ણવ મંડાણ ખત્રીવાડ હવેલી રાજકોટ ખાતે એક વિશાળ મિટિંગનું આયોજન કરી આજે સવારે 11:00 કલાકે પરાબજારથી કલેકટર કચેરી સુધી સ્કૂટર રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ ઉપર રોક લગાવવા માંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.