દરેક મિલકત ઉપર ફાયર NOC લગાવવું ફરજિયાત
લોકો સરળતાથી જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવા મ્યુ.કમિશનરનો આદેશ: ગીર-સોમનાથ બાદ હવે રાજકોટમાં પણ અમલ શરૂ
રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોનમાં અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટના બાદ મનપા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને ધડાધડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નવનિયુક્ત મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા ફાયર એનઓસી ન હોય તેવી દરેક મિલકતને સીલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી ૧૦૦થી વધુ મિલકતોને તાળાં લગાવી દેવાયા છે. બીજી બાજુ હવે દરેક મિલકત ઉપર ફાયર એનઓસી લગાવવું ફરજિયાત કરતો હુકમ પણ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આગની દૂર્ઘટના બાદ ગીર-સોમનાથ કલેક્ટર દ્વારા દરેક મિલકત ઉપર જોઈ શકાય તે પ્રમારે ફાયર એનઓસી લગાવવું ફરજિયાત કરતો હુકમ કર્યા બાદ હવે રાજકોટ દ્વારા પણ તેનું અનુસરણ કરવામાં આવ્યું છે.
મ્યુનિ.કમિશનર દ્વારા કરાયેલા હુકમમાં જણાવાયું છે કે મહાપાલિકા વિસ્તારમાં ફાયર એન્ડ સેફ્ટી સર્ટિફિકેટ લેવાપાત્ર થતી મિલકતો માટે અધિકૃત અધિકારી દ્વારા ઈશ્યુ-રિન્યુ થયેલા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ (ફાયર એનઓસી) મિલકતમાં જોઈ શકાય તેવા ભાગ-સ્થળ ઉપર કાયમી ધોરણે પ્રદર્શિત કરવાનું રહેશે. આ આદેશનો તાત્કાલિકપણે અમલ કરવા પણ ટકોર કરવામાં આવી છે.
આ પ્રકારનો આદેશ થયા બાદ મિલકતધારકો દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે મનપા કચેરીમાં દોટ મુકવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે અત્યારે અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.