છે કોઈ રોકનારું ? પોલીસ જ કરે છે કાયદાનો ભંગ !! જુઓ ..
નો-પાર્કિંગમાં પડેલા વાહનોને ટોઈંગ કરતી વાનને જ દંડ કરવો પડે તેવી સ્થિતિ: મોટર વ્હીકલ એક્ટ ૧૯૪ પ્રમાણે ટોઈંગ વાનમાં લટકતાં વાહન ન રાખી શકાય
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા પાછળ મહદ અંશે આડેધડ પાર્ક કરાયેલા વાહનોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસની ટોઈંગ વાન રાઉન્ડ ધ ક્લોક દરેક વિસ્તારમાં ફરતી રહે છે અને નો-પાર્કિંગ ઝોન તેમજ નડતરરૂપ રીતે પડેલા વાહનોને ટોઈંગ કરીને શીતલ પાર્ક ખાતે લઈ જવામાં આવે છે. અહીંથી ચાલકે દંડ ભરપાઈ કરીને વાહન છોડાવવાનું રહે છે. એકંદરે પોલીસ દ્વારા નિયમનો ભંગ કરતા ચાલકોને રીતસરનો દંડરૂપી `પાઠ’ ભણાવવામાં આવી રહ્યો છે ત્યારે એ વાતની સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે કે પોલીસ પણ કાયદાનો છડેચોક ભંગ કરી રહી છે !!

શહેરમાં અત્યારે નાની ટોઈંગ વાન કાર્યરત છે જેના દ્વારા વાહનો ટોઈંગ કરવામાં આવે છે. જો કે આ વાનમાં ક્ષમતા કરતા વધુ વાહનો ભરવામાં આવી રહ્યા છે. મોટર વ્હીકલ એક્ટ ૧૯૪ (૧-એ) અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ-૯૩ પ્રમાણે કોઈ પણ વાહનમાં ઓવરલોડિંગ સામાન ભરવાની મનાઈ હોય છે.
હવે રાજકોટમાં ખુદ પોલીસની વાન જ વધુ દંડ વસૂલાતની લ્હાયમાં નિયમનો ભંગ કરી રહી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે જે ટોઈંગ વાન અત્યારે રાજકોટમાં ફરી રહી છે તેમાં મહત્તમ ચાર વાહનો જ ટોઈંગ થઈ શકે તેમ છે પરંતુ એ વાન દ્વારા અત્યારે છથી સાત જેટલા વાહનો એક ફેરામાં ભરી રહી છે જે નિયમ વિરુદ્ધનું કામ છે. આ રીતે હવે ટોઈંગ વાનને જ એક હજાર રૂપિયાનો દંડ થઈ શકે તેમ છે ! જો કે આ દંડ કોણ વસૂલે તે પણ એક મોટો પ્રશ્ન છે.
વાહનને નુકસાન જાય તો જવાબદારી કોની ?
લોકો એવો પ્રશ્ન પણ પૂછી રહ્યા છે કે નિયમનો ભંગ કરી રહ્યા હોય તેવા ચાલકનું વાહન ટોઈંગ થવું જ જોઈએ પરંતુ એ વાહન હેમખેમ રીતે પહોંચે તે પણ જરૂરી બની જાય છે. ઘણા કિસ્સાઓમાં વાન ઓવરલોડિંગ થઈ ગઈ હોવાને કારણે એકબીજા વાહનો અથડાવાથી નુકસાન પહોંચે છે ત્યારે આ નુકસાનની જવાબદારી લેવા કોઈ તૈયાર થતું નથી જે વ્યાજબી ગણાશે નહીં.