24×7 ની ડેડલાઈન પુરી થાય એ પહેલાં રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટ ટેકઓફ થશે
ઇમિગ્રેશન પ્રક્રિયા જલ્દીથી પુરી કરવા હેડક્વાર્ટર દ્વારા હાઇઓથોરિટી સુધી રજુઆત:ડાયરેક્ટર થી લઈ અનેક અધિકારીઓની બદલીઓ પાછી ઠેલવાઈ,30 જૂન સુધીમાં વિદેશની ફલાઇટ માટે ઓથીરિટીની દોડધામ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલનાં સમયમાં 24 કલાક ધમધમી રહ્યું છે.પાકિસ્તાનએ ભારતીય એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરી દીધી છે જેના કારણે વૈકલ્પિક એરપોર્ટ તરીકે રાજકોટ હીરાસર એરપોર્ટને 30 જૂન સુધી 24 કલાક માટે શરૂ રાખવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.
હાલની પરિસ્થિતિમાં દિવસ રાત એરપોર્ટને કાર્યરત રાખવા માટે વધારાનો સ્ટાફ બહારના રાજ્યમાંથી બોલાવાયો છે. ગ્રાઉન્ડથી લઈને એર ટ્રાફિક કંટ્રોલ યુનિટમાં વધુ સ્ટાફ અને સી.આઈ.એસ.એફ.માં વધારાના જવાનોની નિમણુંક કરાઈ છે.
હવે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી પણ આ તકને ઝડપી લેવા મક્કમ બની છે અને જ્યાં સુધીમાં આ ડેડલાઈન એટલે 30 જૂનનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં ઇન્ટરનેશનલ ફલાઇટ રાજકોટથી ઉડાન ભરે તે માટેની ભરપૂર કવાયત શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે એરપોર્ટનાં ઉચ્ચ અધિકારીઓનાં ટ્રાન્સફર ઓર્ડરોની રાહ જોવાય રહી હતી પરંતુ હવે ડાયરેક્ટર તેમજ અન્ય અધિકારીઓની બદલીઓ પાછી ઠેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રોએ એવું જણાવ્યું હતું કે,એરપોર્ટ માટે આ તક વિકાસના દરવાજા ખોલી રહી છે. કસ્ટમ અને ઇમિગ્રેશનની પ્રક્રિયા જલ્દીથી પૂરી થાય તે માટે હેડ ક્વાર્ટર દ્વારા પણ તાકીદે તમામ કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે. ઇમિટેશનની અધવચ્ચે અટકેલી કામગીરી પુરી થાય એ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. જોકે ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાન ભરશે એવી આશા એરપોર્ટના જવાબદાર અધિકારીઓએ વ્યક્ત કરી છે.