હદય હુમલો વધુ બે યુવાનો માટે જીવલેણ નિવડ્યો
- નાના ભાઈ સાથે કામ કાજ બાબતે વાતચીત કરતા કરતા યુવકનું હદય બેસી ગયું
- ભાડલામાં યુવાનને છાતીમાં દુખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો : સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત
રાજ્યમાં હૃદયરોગના હુમલાથી મોતની ઘટનાઓ યથાવત રહી છે. ત્યારે ગઇકાલે રાજકોટમાં એક બાવીસ વર્ષના તબીબ યુવાન અને ચાલીસ વર્ષના યુવાનના હૃદય ધબકારા ચુકી જતાં મૃત્યુ થયા હતાં. જેમાં આજે વધુ બે બનાવ સામે આવ્યા છે.જેમાં પ્રથમ બનાવમાં ભગવતી પરામાં આવેલી એકતા સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતો યુવક તેના ભાઈ સાથે કામ બાબતે વાતચીત કરી રહ્યો હતો તે વેળાએ તેને હદય હુમલો આવતા મોત નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં ભાડલાના યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટ્યું છે.
પ્રથમ બનાવની વિગતો મુજબ રાજકોટમાં ભગવતી પરા વિસ્તારમાં આવેલ એકતા સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા તન્વીર હારૂણભાઇ લાખાણી નામના ૩૩ વર્ષીય યુવક સવારના સમયે તેના નાના ભાઈ સમીર સાથે કામકાજ બાબતે વાતચીત કરી રહ્યો હતો તે સમયે તેને હદય હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોતની નીપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.જ્યારે આમ મામલે પોલીસ સ્ટાફને જાણ થતા તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે સટલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેને સંતાનમાં ત્રણ દીકરા છે.
જ્યારે બીજા બનાવની વિગતો મુજબ જસદણના ભાડલા વેરાવળ ગામે રહેતાં રાયધનભાઇ તળશીભાઇ મેતાડીયા (ઉ.વ.૪૦)ને રાતે નવેક વાગ્યે ઘરે હતાં ત્યારે એકાએક છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં પરિવારજનોને જાણ કરતાં તુરત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામનાર રાયધનભાઇ પાંચ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર છે.બનાવથી પરિવારજનોમાં અરેરાટી વ્યાપી છે.