નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ કઢાવવામાં મામલતદાર કચેરીઓમાં અરજદારોને હેરાનગતિ
રાજકોટ પૂર્વ અને દક્ષિણ મામલતદાર કચેરીઓમાં પુરાવા સાથે બે સાક્ષીઓને લઈ જાવ તો જ નીકળે નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ : બહુમાળીમાં ધસારો
રાજકોટ : રાજકોટ શહેરમાં વસતા નાગરિકોને પોતાના વિસ્તાર મુજબ જ મામલતદાર કચેરીમાં નોન ક્રીમીલેયર સર્ટી કઢાવવાની કામગીરી કરાવી શકે તે માટે જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવા છતાં મામલતદાર કચેરીમાં નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ કઢાવવા આવતા અરજદારોને ફરજીયાત પણે બે સાક્ષી સાથે રાખવા અને આધારકાર્ડ સાથે અરજદાર તેમજ સાક્ષીઓને કલાકો સુધી ઉભા રાખવાં આવતા હોય મોટાભાગના અરજદારોને બહુમાળીભવનના ધક્કા ખાવા પડતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.
રાજકોટ શહેરમાં વસવાટ કરતા નાગરિકોને પોતાના જ વિસ્તારની નજીકમાં આવેલી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ, આવકના દાખલ અને નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ સહિતની સરકારી કામગીરી કરાવી શકે તે માટે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પરંતુ મોટાભાગની મામલતદાર કચેરીઓમાં નોન ક્રીમીલેયર સાર્ટિફિકેટ કઢાવવા આવતા અરજદારોને તેમની સાથે પાડોશમાં રહેતા બે સાક્ષીઓને સાથે લઈને કચેરીએ આવવાની સાથે કલાકો સુધી કતારમાં ઊભા રાખવામાં આવે છે. જો કે, ગ્રામ્ય મામલતદાર કચેરીમાં આવો કોઈ નિયમ નથી પરંતુ અન્ય મામલતદાર કચેરીઓમાં ખુબ જ હેરાનગતિ છે.
બીજી તરફ રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન ક્રીમીલેયર સર્ટિફિકેટ કઢાવવામાં આવા કોઈ સાક્ષીને ફરજિયાત હાજર રાખવાનો ફતવો ન હોય શહેરમાં વસવાટ કરતા મોટાભાગના નાગરિકો અહીં લાંબી કતારો લગાવી રહ્યા છે ત્યારે મામલતદાર તંત્ર પાડોશીઓને સાક્ષી તરીકે સાથે રાખવાનો નિયમ હળવો કરે તો એડમિશન અને આરટીઇ પ્રવેશ પ્રક્રિયા સમયે અનેક અરજદારોને બહુમાળી કચેરીના ધક્કા બચી શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.