રાજકોટમાં ટાર્ગેટ પૂરો કરવા જીએસટી વિભાગ ઉંધામાથે
વેરો ન ભરનારા વેપારીઓને અપાઈ રહી છે નોટિસ: નોટિસનો જવાબ આપવા વેપારીઓ, સલાહકારો, સીએની દોડાદોડી
રાજકોટમાં જીએસટી વિભાગ ટાર્ગેટ પૂર્ણ કરવા ઉંધામાથે થયો છે. કર્મચારીઓ પણ રાત્રે મોડે સુધી ઓફિસમાં બેસીને વિવિધ કામગીરી કરી રહ્યા છે. આ વચ્ચે વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા નોટિસ ફટકારીને કરવેરાની વસૂલાત કરવામાં આવી રહી હોય વેપારીઓ જીએસટીની ઓફિસે દોડતા થયા છે.
માર્ચ મહિનો નજીક આવતા જીએસટી વિભાગે ટાર્ગેટ પૂર્ણ કરવા કમર કસી છે. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારીઓને વારંવાર વેરો ભરવા માટેની સુચના આપવામાં આવે છે. જોકે હવે ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જે વેપારીઓએ સમય વેરો ભર્યો નથી તેવા તમામ વેપારીઓને નોટીસ મોકલી સુચના આપવામાં આવી રહી છે.
જીએસટી વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ હાલમાં જે વેપારીઓએ વેરો ભર્યો નથી તેઓને પ્રથમ ડીઆરસી 01 નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે અને વેરો ભરવા માટે નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. જીએસટી વિભાગ દ્વારા આ કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવી રહી હતી. જેમાં કેટલાક વેપારીઓને નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવી પણ હતી. જ્યારે વેપારીઓ આ નોટિસનો જવાબ ન આપતા આકરી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં વેરો ન ભરનારા વેપારીઓને ડિમાન્ડ નોટિસ એટલે કે ડીઆરસી-7ની નોટિસ મોકલવામાં આવી રહી છે. જે ઇ-મેઈલ દ્વારા મોકલવામાં આવી રહી છે. જેના કારણે વેપારીઓના સલાહકારો, નેતાજી સીએ નોટિસની જવાબ આપવા માટે દોડતા થયા છે. મહત્વનું છે વેપારીઓ ડીઆરસી-7ની નોટિસનો પણ જવાબ ન આપે તો વિભાગ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે છે અને વેપારીઓના એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવે છે.