ઘર બહાર નીકળો એટલે માસ્ક પહેરો: મહાપાલિકાની અપીલ
- છેલ્લા બે મહિનાથી આખું રાજકોટ રોગચાળાની ઝપટમાં આવી ચૂક્યું છે બરાબર ત્યારે જ કોરોના આવતા રિપોર્ટ કરાવવા માટે દોડધામ
- ગભરાવા કરતા સાવચેતી રાખો: અક્ષર માર્ગ પર કોરોના પોઝિટીવ આવેલા મહિલા ત્રણ દી’થી આવી ગયા હતા, ૧૪ લોકોને મળ્યા; કોઇને અસર નથી
- હવે તો તાવ-શરદી-ઉધરસ થાય એટલે
મને કોરોના તો નહીં હોય ને?' તેવો અનુભવાતો ડર: વળી, આ જ લક્ષણો ડેંગ્યુ-ચિકનગુનિયાના પણ હોય
બીમાર’ની હાલત કફોડી
રાજકોટમાં છેલ્લા બે મહિનાથી ડેંગ્યુ-ચિકનગુનિયા-મેલેરિયાના કેસો દર સપ્તાહે મહાપાલિકાના ચોપડે નોંધાઈ રહ્યા છે. એકંદરે તંત્ર આ રોગ ઘટાડી શકવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે બરાબર ત્યારે જ કોરોનાએ `દેખા’ દેવાનું શરૂ કરી દેતાં તંત્રની સાથે જ લોકોમાં ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. રોગચાળો કાબૂ કરવામાં નિષ્ફળ નિવડેલું તંત્ર લોકોને અત્યારે ગભરાઈ નહીં જવા બલ્કે સાવચેતી રાખવાની અપીલ કરવા સિવાય બીજું કશું કરી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખી માસ્ક પહેરવાનો આગ્રહ રાખે તે જરૂરી બની જાય છે. આ ઉપરાંત જો શરદી-તાવ હોય તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવવો જોઈએ. છીક આવે ત્યારે મો પર રૂમાલ રાખવો જોઈએ. એકબીજાના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ તો હાથને નિયમિત ધોવા જોઈએ.
રાજકોટમાં બુધવારે રાત્રે અક્ષર માર્ગ પર એક મહિલા કોરોના પોઝિટીવ થયા હોવાનું જાહેર થતાં જ આખા શહેરમાં કોરોનાનો ગભરાટ ફેલાયો હતો. મહાપાલિકાની ટીમે તાત્કાલિક દોડી જઈને મહિલાની તપાસ કરતા કોઈ ગંભીર લક્ષણો નહીં હોવાનું ધ્યાન પર આવ્યું છે. વધુ તપાસ કરતાં આ મહિલા ત્રણ દિવસ પહેલાં નાસિકથી આવ્યા હતા અને ત્યાં સુધીમાં ૧૪ લોકોને મળ્યા હત ા પરંતુ કોઈની તબિયત ખરાબ નહીં હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અત્યારે એકમાત્ર કોરોનાગ્રસ્ત મહિલાને આઈસોલેટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
છેલ્લા બે મહિનાથી રાજકોટ રોગચાળાની બરાબરની પકડમાં આવી ચૂક્યું છે અને લોકો પોતાના ડેંગ્યુ-ચિકનગુનિયા-મેલેરિયાના ટેસ્ટ કરાવવા માટે દોડધામ કરી જ રહ્યા છે બરાબર ત્યારે કોરોનાનો કેસ મળતાં હવે તાવ-શરદી-ઉધરસના દર્દીઓ કયો ટેસ્ટ કરાવવો તેની મુંઝવણ અનુભવી રહ્યા છે કેમ કે ડેંગ્યુ-ચિકનગુનિયા-કોરોના-મેલેરિયાનાં લક્ષણો એક જેવા જ હોવાથી આખરે કયો રોગ લાગુ પડ્યો હશે તેનો ભય લોકોને સતાવવા લાગ્યો છે.
લેબોરેટરી `લીક’ કરશે તો જ કેસ જાણવા મળશે!
હવેથી રાજકોટ શહેરમાં જો કોઈ કોરોના દર્દી આવશે તો મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર તેની જાહેરાત કરવામાં નહીં આવે બલ્કે લેબોરેટરી દ્વારા જો રિપોર્ટ `લીક’ કરવામાં આવશે તો જ ખ્યાલ આવી શકશે. આ પાછળ લોકોમાં ખોટો ભય ન ફેલાય તેવું કારણ અપાઈ રહ્યું છે પરંતુ લોકો એવો તર્ક વ્યક્ત કરી રહ્યા છે કે કેસ જાહેર કરવાથી લોકોમાં જાગૃતતા આવી શકશે.
કોરોનાનાં લક્ષણો
- વધુને વધુ ઉધરસ
- તાવ
- શ્વાસ ચડવો
- ગળું છોલાવું
- નાક વહેવું
- ઝાડા, માથું દુ:ખવું
- સ્નાયુ-શરીરમાં દુ:ખાવો
- મુંઝવણ-ચીડિયાપણું