મોજ કરી લો: આજથી હરવા-ફરવાના સ્થળે ઉભરાશે માનવ કીડિયારું: વરસાદ ન આવે તો !
અટલ સરોવર, રામવન, પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ સહિતના સ્થળે ક્યાંય પગ મુકવાની જગ્યા નહીં મળે
ખાણીપીણીની નાની રેંકડીથી લઈ મોટી રેસ્ટોરન્ટ પર હશે લાં..બું વેઈટિંગ
આજથી ગુરૂવાર સુધી રાજકોટમાં રજાનો જ માહોલ: હરવા-ફરવાના શોખીનોએ તો ત્રણ દિ’ વરસાદ પોરો' ખાય તેવી પ્રાર્થનાઓ પણ શરૂ કરી દીધી
જન્માષ્ટમીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે અને શીતળા સાતમે મેઘરાજાએ અનરાધાર વરસીને લોકોને ઘરમાં જ
કેદ’ રહેવા માટે મજબૂર કરી દીધા બાદ સાંજે `આરામ’ કરતાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે બહાર નીકળ્યા હતા. બીજી બાજુ આજે જન્માષ્ટમીનો તહેવાર હોવાથી સવારથી લઈ મોડીરાત સુધી રસ્તાઓ ભરચક્ક રહેશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. આ વખતે સોમવારથી લઈ બુધવાર સુધીની રજાઓ હોવાથી આ ત્રણ દિવસ લોકો મન ભરીને મોજ કરી લેશે.
તહેવારો પર રજા પડે એટલે મહત્તમ પરિવારો રાજકોટમાં આવેલા ફરવાના સ્થળો પર ઉમટી પડતાં હોય છે ત્યારે આજથી અટલ સરોવર, રામવન, પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ સહિતના સ્થળે ક્યાંય પગ મુકવાની જગ્યા મળશે નહીં. આ તમામ સ્થળોએ સવારથી જ લોકો ઉમટી પડશે અને સાંજ-રાત સુધી ત્યાં અવર-જવર જોવા મળશે.
બીજી બાજુ તહેવારોમાં ખાણીપીણીની જ્યાફત પણ એટલી ઉડતી હોય આજે નાની રેંકડીથી લઈ મોટી રેસ્ટોરન્ટ ઉપર લાં…બું વેઈટિંગ જોવા મળશે સાથે સાથે ધંધાર્થીઓને પણ તડાકો બોલી જવાનો છે. એકંદરે આજથી ગુરૂવાર સુધી રાજકોટમાં માત્રને માત્ર રજાનો જ માહોલ જોવા મળશે. ખાસ કરીને હરવા-ફરવાના શોખીનોએ તો ત્રણ દિવસ સુધી વરસાદ ન પડે તેવી પ્રાર્થનાઓ પણ શરૂ કરી દીધી હતી.