આમાં અગ્નિકાંડ જ સર્જાય ! સમરસમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયર
સમરસ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં જુલાઈ મહિનામાં ફાયરના સાધનોની મુદત પૂર્ણ
રાજકોટ : રાજકોટમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના 2000 જેટલા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા આપતા સરકારના સમરસ ગર્લ્સ અને બોયઝ છાત્રાલયમાં ફાયર સેફટીના સાધનોની મુદત બે મહિના પહેલા પૂર્ણ થઇ ગઈ હોવા છતાં સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી ફાયર સેફટીના સાધનોની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા અહીં રહેતા છાત્ર અને છાત્રાઓની સુરક્ષા સામે સવાલો ઉઠયા છે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે. જે અન્વયે રાજકોટના યુનિવર્સીટી કેમ્પસ નજીક જ વિશાળ જગ્યામાં સમરસ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલનું નિર્માણ કરી અહીં 1000 વિદ્યાર્થીઓ અને 1000 વિદ્યાર્થીનીઓ માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ કરી છે પરંતુ સમરસ છાત્રાલયના નિભાવનીમાં સ્થાનિક તંત્ર ઉણુ ઉતર્યું હોય તેવી સ્થિતિ વચ્ચે રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના સર્જાવા છતાં પણ અહીં તા.24-07-2024ના રોજ ફાયર સેફ્ટિનો કોન્ટ્રાકટ પૂર્ણ થવા છતાં હજુ સુધી ફાયરસેફટી મામલે કોઈ નક્કર આયોજન કરાયું નથી.
ઉલ્લેખનીય છે કે, સમરસ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજન મામલે અગાઉ અનેક વિવાદો થઇ ચુક્યા છે અને પાણી મામલે પણ નક્કર વ્યવસ્થા નથી થઇ ત્યારે લોકલ કમિટી દ્વારા વિશાળ વિદ્યાર્થી હિતમાં ફાયર સેફટી જેવા અત્યંત ગંભીર મામલે પણ નિષ્કાળજી દાખવવામાં આવી રહી ચેહ સાથે જ પ્રમુખ જનરલ ટ્રેડર્સ નામના ભોજન કોન્ટ્રાક્ટરને ભોજનની ગુણવતા મામલે માત્ર નોટિસ આપી સંતોષ માની લઈ ફરીથી કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ફાયર સેફટી કોન્ટ્રાકટ મામલે સમાજ કલ્યાણ વિભાગના અધિકારી હરેશ ચાવડાએ કોન્ટ્રાકટ પૂર્ણ થયાનું સ્વીકારી હાલમાં કોન્ટ્રાકટ રીન્યુઅલ માટે કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.