રાજકોટમાં ડેન્ગ્યુ દેખાયો, શરદી, ઉધરસ અને તાવના કેસના ઢગલા
રાજકોટ શહેરમાં ભરઉનાળે શરદી-ઉધરસના કેસ સૌથી વધુ, ઝાડા -ઉલ્ટીના 6 દિવસમાં 173 કેસ
રાજકોટ : ભરઉનાળે પણ રાજકોટમાં રોગચાળો વકર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ડેન્ગ્યુએ દેખા દેતા મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે, છેલ્લા છ દિવસ દરમિયાન જ રાજકોટ શહેરમાં શરદી, ઉધરસ અને તાવ અને ઝાડા ઉલ્ટીના 1000થી વધુ કેસ નોંધાયા છે, બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા મેલરિયા ડેન્ગ્યુ નિવારવા પગલાં પણ લેવાઈ રહ્યા છે અને મચ્છરની ઉત્પત્તિ હોય તેવા સ્થાનોને ઓળખી કાઢી 150 જેટલા કિસ્સામાં નોટિસો પણ ફટકારવામાં આવી છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર ચકાસણીમાં છેલ્લા છ દિવસ દરમિયાન ડેન્ગ્યુનો એક નવો એક કેસ ઉમેરાતા ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના કેસની સંખ્યા 13 થવા પામી છે, બીજી તરફ કાળઝાળ ગરમીમાં પણ શરદી ઉધરસના 622, ઝાડા-ઉલ્ટી 173 અને સામાન્ય તાવના 317 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. સાથે જ આરોગ્ય વિભાગે મેલરિયા નિયંત્રણ માટે 3814 ઘરોમાં પોરાનાશક તેમજ ફોગીંગ કરી મચ્છર ઉત્પતિ રોકવા સબબ કામગીરી કરી મચ્છરની ઉત્પત્તિ સ્થાન એવા 150 જેટલા કિસ્સામાં નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાહેર કર્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોગચાળા નિયંત્રણ માટે તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.06/05/24 થી તા.12/05/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 3,814 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 199 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. ઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.