માધાપર અને રેલનગરમાં ટીપી રોડ ઉપર મકાનો બની જતા ડિમોલિશન
મહાનગર પાલિકા દ્વારા 12 મકાન, કમ્પાઉન્ડ વોલ અને મંદિરનું ધાર્મિક દબાણ હટાવાયું
રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવતા વોર્ડ નં.3માં માધાપર અને રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ ઉપર ટીપી સ્કીમના રસ્તા ઉપર 12 મકાન, કમ્પાઉન્ડ વોલ અને મંદિરનું ધાર્મિક દબાણ ખડકાઈ જતા ગુરુવારે ટાઉનપ્લાનિંગ શાખાએ ગેરકાયદેસર દબાણો હટાવી જમીન ખુલ્લી કરાવી હતી.
મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના આદેશ મુજબ આજે ડે.કમિશ્નર એચ.આર.પટેલ અને એડી.સીટી ઇજનેર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ ટીપી શાખાએ વોર્ડ નં.3માં માધાપરની ટીપી સ્કીમ નં. 38-1માં તાલુકા સ્કુલવાળા રોડ પર 15 મીટરના રસ્તા ઉપર બની ગયેલા ચાર મકાનો તોડી પાડી ટીપી નંબર 38-1માં ધ સ્પેસ એપાર્ટમેન્ટ પાછળ પણ 18 મીટરના રોડ ઉપર બની ગયેલા આઠ ગેરકાયદે મકાન અને કમ્પાઉન્ડ વોલનું ડિમોલીશન કર્યું હતું. સાથે જ વોર્ડ નં.3માં ટીપી-19 રેલનગરથી આગળ સાધુ વાસવાણી કુંજ રોડ પર કોર્પો.નો રહેણાંક વેંચાણનો અનામત પ્લોટમાં બાપા સીતારામ મંદિરનું ધાર્મિક દબાણ ઉભું થી જતા 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી હતી. આ જમીનની અંદાજિત કિંમત 45 લાખ હોવાનું ટીપી શાખાએ જણાવ્યું હતું.