મુખ્યમંત્રીના હસ્તે નવા જિલ્લા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત
‘સ્ટેટ ઓફ ઘ આર્ટ’ અંતર્ગત રૂ. ૩૬ કરોડના ખર્ચે નિર્માણ થશે અત્યાધુનિક જિલ્લા પંચાયત કચેરી
રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુક્રવારે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત – ભૂમિપુજન તેમજ તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું. હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને જિલ્લા પંચાયત કચેરીના અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ નવા ભવનના નિર્માણ કાર્યના પ્રારંભે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદ તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે રૂ. ૩૬.૧૭ કરોડના ખર્ચે ૧૪ હજાર ચો.મી. બાંધકામમાં વિવિધ કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમનું સ્ટેટ ઓફ ધ આર્ટ એવું નવું ભવન ચાર માળનું બનશે. કેમ્પસમાં સીસી રોડ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આરોગ્ય વિભાગનો સ્ટોર, કેન્ટીન, અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ વોટર ટેંક, ટેરેસમાં ચાઇનામોજેક વોટરપ્રૂફિંગ, વિટરીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ સહિત અધ્યતન ભવન નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ મોમેન્ટો તેમજ જિલ્લા પંચાયતની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, જયેશભાઈ રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, ડો. ભરતભાઈ બોઘરા, અલ્પેશભાઈ ઢોલરીયા,કારોબારી સમિતિના ચેરમેન પી.જી. કયાડા, વિવિધ સમિતિઓના પદાધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો, કલેકટર પ્રભવ જોશી, જીલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે સહિત વરિષ્ઠ અઘિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.