અટલ સરોવર ઉતાવળે શરૂ કરાયું’ને હવે ખબર પડી કે કામ તો બાકી છે !
અગ્નિકાંડ બાદ બંધ કરી દેવાયેલું અટલ સરોવર એકાદ સપ્તાહ બાદ ખુલ્લું મુકાશે: અધૂરા કામ ઝડપથી પૂર્ણ કરવા સિટી ઈજનેર-કોન્ટ્રાક્ટરની કમિશનર સાથે બેઠક
૩૦ જૂન સુધીમાં તમામ કામ પૂર્ણ કરી દેવાની ડેડલાઈન ચૂકી જવાશે
શરૂ થયાના માત્ર ૨૫ દિવસમાં જ બંધ થઈ ગયેલું અટલ સરોવર એકાદ સપ્તાહ બાદ ફરી ખુલે તેવી તૈયારી મહાપાલિકા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આમ તો સરોવરનું લોકાર્પણ ઉતાવળે જ કરી દેવાયું હોવાની બૂમ તે સમયે ઉઠી હતી જે સાચી પડી હોય તેવી રીતે તંત્રવાહકોને હવે ખબર પડી કે સરોવરનું કામ તો હજુ ઘણું બધું બાકી છે ! અગ્નિકાંડને કારણે અટલ સરોવરને બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં ફૂડ કોર્ટ સિવાય ફાયર એનઓસીની ક્યાંય જરૂર ન હોવાનું જણાતાં ફરી તેને ખોલવા માટેની કવાયત કરવામાં આવી રહી છે.
આ અંગે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું કે કામ બાકી હોવા છતાં અટલ સરોવર શા માટે ખુલ્લું મુકી દેવામાં આવ્યું તે વાતનો મને ખ્યાલ નથી ! જો કે સરોવરમાં હજુ ઘણું બધું કામ બાકી હોવાથી ઈજનેરો અને અટલ સરોવરનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી સાથે બેઠક બોલાવાઈ છે જેમાં બાકી રહેલા કામ તુર્તમાં પૂર્ણ કરવા માટેના નિર્ણય લેવામાં આવશે.
અટલ સરોવરમાં એકમાત્ર ફૂડ કોર્ટ જ એવી છે જેના માટે ફાયર એનઓસીની જરૂર રહે છે. ફેરિસ વ્હીલ, બોટિંગ, ટે્રન સહિતના માટે એનઓસીની જરૂરિયાત લાગતી નથી.
અત્રે એ વાત પણ મહત્ત્વની છે કે અટલ સરોવર તેમજ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એમ બન્ને કામ ૩૦ જૂન સુધીમાં પૂર્ણ કરી દેવાની સમયમર્યાદા નક્કી કરાઈ હતી પરંતુ ત્યાં સુધીમાં તમામ કામ થઈ જવાની કોઈ જ શક્યતા નહીં હોવાનું મ્યુનિ.કમિશનરે પણ સ્વીકાર્યું હતું સાથે સાથે એમ પણ કહ્યું હતું કે જન્માષ્ટમી પહેલાં મહત્તમ કામ પૂર્ણ કરી દેવાશે !