મામૂલી કમીશનની લાલચે આશા વર્કરે મહિલાને મોતના મુખમાં ધકેલી !
ડૉક્ટર ન હોવા છતાં પ્રસુતાની ડિલિવરી કરનાર હિના પટેલ મામલે ફૂટ્યો નવો ફણગો
પરિણીતાનું વજન ઓછું હોવા ઉપરાંત હાઈટ ઓછી છે તેવું જાણવા છતા ૭મા મહિને ડિલિવરી કરી નાખી જે મોતનું મુખ્ય કારણ: ૩૫,૦૦૦ પણ પડાવ્યા
કોઠારિયા રોડ પર હુડકો ક્વાર્ટર પાસે ફોરમ ક્લિનિક ધરાવતી હિના પટેલે પોતે માન્ય ડૉક્ટરની ડિગ્રી ધરાવતી ન હોવા છતા પ્રસુતાની ડિલિવરી કરી નાખતાં મૃત્યુ નિપજવાના મામલે નવો ફણગો ફૂટ્યો છે. મૃતકના પતિ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હિના પટેલ સાથે તેમની ઓળખ સુરેન્દ્રનગરના ખાટડી ગામે આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી એક આશા વર્કરે કરાવી હતી. આશા વર્કર હિના પટેલનો ઈતિહાસ જાણતી હોવા છતાં મામૂલી કમીશનની લાલચે તેણે પરિણીતાને મોતના મુખમાં ધકેલી દીધી હોવાથી તે પણ આ ગુનામાં બરાબરની ભાગીદારી હોવાથી તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી મૃતક પાયલના પિતા જીતુભાઈ સોલંકીની માંગણી છે.
વધુમાં જીતુભાઈ સોલંકીએ જણાવ્યું કે જસદણના વીરનગરમાં રહેતી અને સુરેન્દ્રનગરના ખાટડી ગામે પરણેલી પાયલ નામની પરિણીતા ગર્ભવતી થતાં તે સાત મહિનાથી રાજકોટમાં હિના પટેલ પાસે સારવાર કરાવી રહી હતી. દરમિયાન રૂટિન ચેકઅપ માટે હિના પટેલના ક્લિનીક પર આવી ત્યારે તેની તબિયત નાદૂરસ્ત જણાતાં હિનાએ તેની સારવાર કરવાની જગ્યાએ ડિલિવરી કરવાનું કહેતા પરિવાર માની ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે મૃતક પાયલનો વજન તેમજ હાઈટ ઓછા હોવા છતાં તેની ડિલિવરી સાતમા મહિને કરવાની ઉતાવળ જ તેના મોતનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ડિલિવરીના બદલામાં હિનાએ પરિવાર પાસેથી ૩૫,૦૦૦ રૂપિયા પણ પડાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હિના પટેલ પાસે ગાયનેકોલોજીસ્ટની કોઈ જ ડિગ્રી નથી અને તે માત્ર બીએચએમએસ મતલબ કે હોમિયોપેથીક તબીમ જ છે છતાં તેણે પ્રસુતિ કરાવી નાખતાં આ સઘળી ઘટના બની જવા પામી છે.
અધૂરા માસે જન્મેલા બાળકનું વજન માત્ર દોઢ કિલો
પાયલના પરિવારજનોએ જણાવ્યું કે પાયલે જે બાળકને જન્મ આપ્યો છે તે અધૂરા માસે જન્મ્યું હોવાથી તેનું વજન માત્ર દોઢ કિલો જ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ખાનગી હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે જેનો ખર્ચ અઢી લાખ રૂપિયા જેવો થશે.
હિનાને દવા કોણ સપ્લાય કરતું’તુ ? તપાસ જરૂરી
પોલીસે હિના પટેલ સામે ગુનો નોંધી તેના રિમાન્ડની માંગણી કર્યા વગર જ સીધી જેલહવાલે કરી દીધી છે જે ઘણો જ ઉતાવળિયો નિર્ણય હોવાનું જાણકારો જણાવી રહ્યા છે કેમ કે હિનાની સઘન પૂછપરછ થવી જરૂરી હતી. ખાસ કરીને હિનાના ક્લિનિક ઉપર દવાની સપ્લાય કોણ કરતું હતું, તે કેટલા સમયથી ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતી હતી, કોણ કોણ ડૉક્ટર તેના સંપર્કમાં હતા સહિતના મુદ્દા જાણ્યા વગર જ પોલીસે તેને જેલહવાલે કરી દીધી છે.
હિનાએ ગુનો કબૂલી લીધો એટલે અમે રિમાન્ડ ન માંગ્યા !
એસસી-એસટી સેલના ઈન્ચાર્જ એસીપી બી.વી.જાદવે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હિના પટેલે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાની કબૂલાત આપતા પોલીસે તેના રિમાન્ડ માંગ્યા નથી ! આ જોતાં સ્પષ્ટ લાગે છે કે પોલીસને આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં બિલકુલ રસ નથી કેમ કે જો તપાસ કરવામાં આવે તો તેમાંથી ઘણા મહત્ત્વના ખુલાસા થઈ શકે તેમ હતા. આ ઉપરાંત ઘટના બન્યા બાદ હિનાના ક્લિનિક પર આવેલા ડૉક્ટરોને પણ સાક્ષી બનાવી દેવામાં આવ્યા છે મુદ્દો પણ શંકાસ્પદ લાગી રહ્યો છે.