અમારા માટે બધાં સરખા ! સિવિલમાં પાકિસ્તાનના કેદીને મળ્યું નવજીવન’
બે વર્ષથી પોરબંદરની જેલમાં કેદ પાકિસ્તાની નાગરિકને હાર્ટએટેક આવતાં પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક રાજકોટ ખસેડાયો'તો: એક નળીમાં બ્લોક હોવાથી તબીબોએ તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટિ કરી જીવ બચાવ્યો
ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યારે કેવા સંબંધ છે તે કહેવાની અત્રે જરૂર લાગતી નથી...! સોશ્યલ મીડિયા ઉપર બન્ને દેશના લોકો અને તેમાં પણ ખાસ કરીને યુવકો વચ્ચે જે પ્રકારે ગંદી કોમેન્ટનો મારો છેલ્લા થોડા સમયથી શરૂ થઈ ગયો છે તેને જોતાં જ તણાવની કલ્પના લગાવી શકાય છે. ત્યાં સુધી કે પાકિસ્તાનના લોકોનું મોઢું જોવા પણ ભારતના લોકો માંગતા નથી ! આટલી કપરી સ્થિતિ વચ્ચે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલે દુશ્મન દેશના નાગરિકનો જીવ બચાવી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તબીબો માટે આમ તો તમામ લોકો સરખા જ હોય છે પછી તે રાજા હોય કે રંક...ભારતના હોય કે પાકિસ્તાનના...તબીબો તમામની દર્દી સમજીને સારવાર કરતા જ હોય છે. સિવિલ હોસ્પિટલમાં બે મહિના પહેલાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેથલેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેથલેબ શરૂ થયા બાદ હૃદય સંબંધિત બીમારીના દર્દીઓએ છેક અમદાવાદ સુધી લાંબું થવું પડતું નથી. આ બધાની વચ્ચે ગત તા.૧૪-૧૦-૨૦૨૩ના પોરબંદર જેલમાં સજા ભોગવી રહેલા પાકિસ્તાની માછીમાર આરબ જુમાભાઈ પટાની (ઉ.વ.૫૦)ને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આરબ છેલ્લા બે વર્ષથી પોરબંદરની જેલમાં કેદ છે જ્યાં તેને હાર્ટએટેક આવી જતાં પ્રાથમિક સારવાર પોરબંદરમાં આપ્યા બાદ લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર શરૂ કરાતાં તેની એક નળી બ્લોક હોવાનું નિદાન થતાં તાત્કાલિક તેની એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી અને થોડા જ દિવસમાં તેની તબિયત સુધરી જતાં તેને રજા આપી દેવામાં આવી હતી. આ અંગે કેથલેબના વડા ડૉ.મનદીપ ટીલાળાએ
વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે દર્દીનું કોઈ જ સગું અહીં ન્હોતું કેમ કે તે ગેરકાયદેસર માછીમારી કરવાના કેસમાં પકડાયો હતો. તેની પાસે કોઈ પ્રકારનું સારવારનું કાર્ડ ન હોવું પણ સ્વાભાવિક છે છતાં તે બધી કડાકૂટમાં પડ્યા વગર તેની સારવાર કરવામાં આવી હતી જેનો ખર્ચ અંદાજે એક લાખ રૂપિયા જેવો થવા જાય છે.
સિવિલમાં બે મહિનામાં ૩૫ એન્જિયોગ્રાફી, ૧૨ એન્જિયોપ્લાસ્ટિ થઈ: દર્દીઓના ૨૦ લાખ બચ્યા
ડૉ.મનદીપ ટીલાળાએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં કેથલેબ શરૂ થયાના બે મહિનાની અંદર સિવિલ હોસ્પિટલમાં ૩૫ એન્જિયોગ્રાફી અને ૧૨ એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી છે. જો દર્દીઓ આ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવા જાય તો તેના પાછળ ૧૫થી ૨૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે પરંતુ સિવિલમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર કરી આપવામાં આવી છે.
ટૂંક સમયમાં કેથલેબમાં પગ-હાથ-મગજની એન્જિયોગ્રાફી શરૂ થશે
સિવિલની કેથલેબમાં અત્યાર સુધી માત્ર હૃદયની જ એન્જિયોગ્રાફી થઈ રહી છે ત્યારે ટૂંક સમયમાં પગ-હાથ-મગજની એન્જિયોગ્રાફી સહિતની સારવાર શરૂ કરવામાં આવશે. જો કે તેના માટે વધુ ક્નસલટન્ટ ડૉક્ટરની જરૂર હોય તેની ફાળવણી જરૂરી બની જાય છે. હાલ સિવિલમાં ૧૦ નર્સિંગ સ્ટાફ, ૨ ટેક્નીશ્યન, મેડિકલ ઑફિસર, એમ.ડી.રેસિડેન્ટ સહિતની ટીમ કાર્યરત છે.