રાજકોટમાં અબ કી બાર, ડેંગ્યુ ૧૦૦ કે પાર !
મેલેરિયા-ચિકનગુનિયા-ટાઈફોઈડની પણ આગેકૂચ: શરદી-ઉધરસ, તાવના દર્દીઓમાં સામાન્ય ઘટાડો
રાજકોટમાં રોગચાળાએ ખતરનાક રફ્તાર પકડી લીધી હોય તેવી રીતે ડેંગ્યુના કેસમાં ચિંતાજનક ઉછાળો થઈ રહ્યો છે. બે સપ્તાહ સુધી ડેંગ્યુના ૧૯-૧૯ કેસ મળ્યા બાદ ત્રીજા સપ્તાહમાં તેમાં પણ વધારો થયો છે અને આ વખતે ૨૨ કેસ મળતાં ચાલું વર્ષે ડેંગ્યુના કેસની સંખ્યા ૧૧૨ને પાર થઈ જવા પામી હોવાનું મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આરોગ્ય શાખા દ્વારા તા.૨૬-૮-૨૦૨૪થી તા.૧-૯-૨૦૨૪ સુધીના સાત દિવસમાં નોંધાયેલા રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે પ્રમાણે ડેંગ્યુના વધુ ૨૨ (ચાલું વર્ષના ૧૧૨), મેલેરિયાના ૩ (ચાલું વર્ષના ૨૦), ચિકનગુનિયાનો ૧ (વર્ષના ૧૯) દર્દી નોંધાયા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૬૮૬ (વર્ષના ૩૩૪૮), સામાન્ય તાવના ૪૪૦ (૧૧૭૭૮), ઝાડા-ઊલટીના ૨૦૨ (વર્ષના ૯૨૮૫), ટાઈફોઈડનો ૧ (વર્ષના ૫૮) અને કોલેરાનો ૧ (વર્ષના ૪) દર્દી નોંધાયા છે.
પાછલા બે સપ્તાહની તુલનાએ ગત સપ્તાહમાં શરદી-ઉધરસ-તાવના કેસમાં મામૂલી ઘટાડો નોંધાયો છે પરંતુ મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બની ગયો હોય તેમ ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાની રફ્તાર રોગચાળાનું ચિત્ર બિહામણું હોવાની ગવાહી પૂરી રહ્યું છે.