અડધા કરોડના ખર્ચે ફાયર સેફ્ટીના સાધનો ખરીદીની દરખાસ્ત વગર ટેન્ડરે કરી દેવાઈ
આવી જ ઉતાવળ ટીઆરપી ગેઈમ ઝોન સામે કાર્યવાહી કરવામાં રાખી હોત તો ?
મનપાની ૨૬ શાળાઓ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની દરખાસ્ત તો મંજૂર કરાઈ પરંતુ ટેન્ડર પ્રક્રિયા કરવા આદેશ
ખર્ચ ૫૪.૦૯ લાખનો બતાવાયો પણ ટેન્ડર થકી નીચા ભાવ પણ આવી શકે-ઠાકર
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી ન હોય તેવી મિલકતોને ધડાધડ સીલ મારવાનું શરૂ કરી દેવાતાં એક તબક્કે અફડાતફડીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. બીજી બાજુ મહાપાલિકા હસ્તકની ૨૬ શાળાઓ કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે અને તેના ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી જ ફાયર સેફ્ટીના સાધનો-એનઓસી વગરની હોવાનું હવે છેક ધ્યાન પર આવતાં ફટાફટ સાધનો ખરીદી માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલી દેવામાં આવી હતી. આ દરખાસ્ત ૫૪ લાખથી વધુની રકમની હોવા છતાં કોઈ જ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કરાઈ ન હોવાનું ધ્યાન પર આવતાં સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે દરખાસ્ત તો મંજૂર કરી પરંતુ ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ જ સાધનોની ખરીદી કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિશનર વિભાગ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૨૬ શાળાઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી એમ ૨૭ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ફિટ કરવા અંગેની દરખાસ્ત કરી હતી. આ માટે અલગ-અલગ ત્રણ પેઢીના ભાવ મંગાવી સિસ્ટમ ઈન્સ્ટોલેશનનો ખર્ચ ૪૫,૦૯,૭૮૩ થશે તેમ ગણીને દરખાસ્ત કરાઈ હતી. આ ઉપરાંત ફાયર એનઓસી રિન્યુ તેમજ જરૂરી રિપેરિંગ માટેનો નવ લાખનો ખર્ચ મળી કુલ ૫૪,૦૯,૭૮૩ રૂપિયા ફાળવવા દરખાસ્ત કરાઈ હતી.
જો કે સ્ટેન્ડિંગ કમિટીએ આ અંગે ઉંડાણપૂર્વક અભ્યાસ કરતાં શિક્ષણ સમિતિ દ્વારા નિયત ટેન્ડર પ્રક્રિયા કરી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું એટલા માટે દરખાસ્ત તો મંજૂર કરી દેવાઈ છે પરંતુ તેના માટે નિયત ટેન્ડર પ્રક્રિયાને અનુસરવા તેમજ તાત્કાલિક ધોરણે શોર્ટ ટેન્ડર નોયિસ પ્રસિદ્ધ કરી આગળની તમામ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.
આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે અત્યારે ખર્ચ ભલે ૫૪.૦૯ લાખનો અંદાજવામાં આવ્યો હોય પરંતુ ટેન્ડર પ્રક્રિયા કરાયા બાદ બની શકે કે ખર્ચમાં ઘટાડો થઈ શકે એટલા માટે જ ટેન્ડર પ્રક્રિયા ઉપર ભાર મુકાયો છે.
ડે.કમિશનરને પ્રોટોકોલની યાદ' અપાવતાં ચેરમેન !
આજે મનપા દ્વારા પાંચ સ્થળે યોગ દિનની ઉજવણી કરાય તે પૂર્વે પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરે હાજર રહ્યા ન હોવાથી ચેરમેન જયમીન ઠાકર દ્વારા તેમને પ્રોટોકોલની
યાદ’ અપાવી આ પ્રકારની વિઝીટમાં હાજર રહેવા ટકોર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.