માછલી ભરેલા પાણીથી હાથ ધોયા બાદ ૬ વર્ષના બાળકને કોલેરા !
ઉપલેટા બાદ હવે રાજકોટનો `વારો’ આવતાં ફફડાટ
મચ્છીનો વેપાર કરતા ધંધાર્થી ઘંટેશ્વરથી જે પાણીમાં માછલી લાવ્યા તેનાથી જ કોલેરાગ્રસ્ત બાળક રમ્યું’ને હાથ પણ ધોયાં
વિસ્તારમાં ચેકિંગ કરતાં છ લોકોને ઝાડા-ઊલટી હોય તાત્કાલિક અપાયેલી સારવાર: ૧૭૧૦ લોકોનું ચેકિંગ
ઉપલેટાના તણસવા ગામે કોલેરાને કારણે પાંચ બાળકોના મોત નિપજ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં રાજકોટના ગોંડલ રોડ પર લોહાનગરમાં છ વર્ષના બાળકને કોલેરા હોવાનું ખુલતાં જ મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. એક બાળકને કોલેરા ઉપરાંત છ લોકોને ઝાડા-ઊલટી હોવાનું ધ્યાન પર આવતાં સ્થળ પર જ સારવાર આપવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. મનપાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે બાળકને કોલેરા થયો છે તેનો પરિવાર મચ્છીનો વેપાર કરતો હોય ઘંટેશ્વરથી જીવિત માછલી જે પાણીમાં લાવ્યા હતા તેનાથી જ બાળકે હાથ ધોયા હતા અને માછલી સાથે રમ્યું હોવાથી કોલેરા થયો છે !
મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે છ વર્ષનું બાળક કે જે ગોંડલ રોડ પર લોહાનગરમાં રેલવે ક્રોસિંગ પાસે રહે છે. આ બાળકના પિતા ઘંટેશ્વરથી માછલી લાવ્યા બાદ બાળક પાણીમાં માછલી સાથે રમવા લાગ્યું હતું જેના કારણે તેને કોલેરાની અસર વર્તાઈ હતી અને થોડા જ કલાકોમાં તે બિમાર પડી ગયું હતું. આ પછી તેનો ટેસ્ટ કરાતાં કોલેરા હોવાનું ધ્યાન પર આવતાં તાત્કાલિક સારવાર અપાઈ હતી જેના કારણે બાળકનો જીવ બચી ગયો હતો અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ કોલેરાનો કેસ મળતાં જ આરોગ્ય શાખાએ લોહાનગરમાં ૪૪૮ ઘરની ચકાસણી કરી ૧૭૧૦ લોકોનું ટેસ્ટીંગ કર્યું હતું જેમાંથી છ લોકોને ઝાડા-ઊલટી હોવાની ફરિયાદ મળતાં સ્થળ પર જ સારવાર કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તંત્ર દ્વારા ૧૮૨ ઓઆરએસના પેકેટ આપવામાં આવ્યા હતા તો ૫૭૮૦ ક્લોરિન ટેબ્લેટ આપવામાં આવી હતી.