રેલનગરમાં 24 વર્ષીય યુવકને તાવ ભરખી ગયો
અમદાવાદ નોકરી કરતો યુવક રાજકોટ માતા-પિતા પાસે જન્માષ્ટમી કરવા આવ્યો’તો
રાજકોટમાં રેલનગરમાં રહેતો અને હાલ અમદાવાદની કંપનીમાં નોકરી કરતાં યુવકને જન્માષ્ટમી રજા હોવાથી ઘરે આવ્યો હતો. ત્યારે તેને તાવ આવી જતાં ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.પરંતુ ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે.
વિગત મુજબ,શહેરના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ પાસે રહેતા યશભાઈ પ્રફુલભાઈ ખખ્ખર (ઉં.વ.24) નામના યુવકને તાવમાં સપડાયાં બાદ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવારમાં મોત નીપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને તાવ આવ્યા બાદ ખાનગી ક્લિનિકમાં બાટલા ચડાવવામાં આવ્યા,બાદમાં લોહીની ઉલ્ટી થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,મૃતક યુવક અમદાવાદની ખાનગી કંપનીમાં કમ્પ્યુટર વર્ક કરતો હતો,અને રજાઓ માણવા રાજકોટ ઘરે આવ્યો હતો.મૃતક અપરણિત અને ને ભાઈઓમાં મોટો હતો.