રાજકોટ સિવિલમાં 7 વર્ષની બાળકીએ ચાંદીપુરા વાયરસને હરાવ્યો
તબીબોની મહેનત રંગ લાવી
પડધરીની બાળકીમાં વાયરસના લક્ષણો જણાતા 11 દિવસ હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી હતી : બાળકી સ્વસ્થ ડિસ્ચાર્જ થતાં પરિવાર અને તબીબોમાં ખુશીનો માહોલ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યના તમામ શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી રાહતના સમાચાર આવ્યા છે. જેમાં ગઇકાલે પડધરીની 7 વર્ષની બાળકીને ચાંદીપુરાને હરાવતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.બાળકીને જનાના હોસ્પિટલમાં 11 દિવસથી સારવારમાં રાખવામાં આવી હતી.બાદ પડધરીની બાળકીને રજા આપવામાં આવી હતી. જેને લઈને પરિવાર સહિત ડૉક્ટર્સમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. માતા-પિતાએ ડૉક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયાએ પણ આ તકે ખુશી વ્યક્ત કરી હતી. જોકે, હજુપણ હોસ્પિટલમાં કુલ 8 દર્દીઓ સારવાર હેઠળ છે. આ પૈકી એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવી ચુક્યો છે.
આ મામલે ઝનાના હોસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગના વડા ડો.પંકજ બુચે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 20 જુલાઈના રોજ મૂળ પડધરીની બાળકીને ગંભીર હાલતમાં એક મોટી હોસ્પિટલમાંથી અહીં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બાળકીને તાવ-આંચકી આવતી હોવા સહિતના ચાંદીપુરા વાઇરસના લક્ષણો જોવા મળતા તેનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલી સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ માટે અનેક રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકીની તબિયત 5 દિવસ સુધી ખરાબ રહ્યા બાદ ધીમે-ધીમે સુધારો આવ્યો હતો. અને 11 દિવસ બાદ તેણી સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બાળકીની સારવાર કરનાર ડો. પલક હાપાણીએ જણાવ્યું હતું કે, બાળકી 20 જુલાઈના દાખલ થઈ હતી. તેણીને આગલા દિવસે તાવ અને આંચકી આવતા સ્થાનિક હોસ્પિટલમાં દવા લીધી હતી. બીજા દિવસે તે બેહોશ થઈ જતા પ્રથમ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં શુગર લેવલ ઓછું હોય ઈન્જેક્શન આપી અહીં લાવવામાં આવી હતી. હાલ બાળકી સ્વસ્થ હોવાથી તેણીના પરિવાર અને તબીબોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હોસ્પિટલમાં કુલ 20 શંકાસ્પદ દર્દીઓ આવી ચૂક્યા : હાલ 8 દર્દી સારવારમાં
હોસ્પિટલમાં ચાંદીપુરાની હાલની પરિસ્થિતિને લઈને મીડિયા કો-ઓર્ડીનેટર ડો. હેતલ ક્યાડાએ માહિતી આપી હતી. કે, અત્યાર સુધી હોસ્પિટલમાં કુલ 20 શંકાસ્પદ દર્દીઓ સામે આવી ચુક્યા છે. જેમાંથી 5 દર્દીઓ પોઝિટીવ તેમજ 8 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને બાકી દર્દીઓનાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 5 પોઝિટીવ દર્દીઓ પૈકી અગાઉ એક દર્દીનું મોત નૂપજ્યું હતું. જ્યારે ગઇકાલે 1 બાળકીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી.વધુમાં તેમણે જણાવતા ઉમેર્યું હતું કે, 8 નેગેટિવ દર્દીઓમાંથી 6 દર્દીઓનાં મોત નીપજ્યા હતા. જ્યારે 1 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અન્ય 1 દર્દીને અગાઉ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલ 8 દર્દીઓ સારવારમાં છે. જે પૈકી કુલ 3 પોઝિટીવ અને 5 શંકાસ્પદ દર્દીઓ છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રનાં અલગ-અલગ જિલ્લાના 8 બાળકોના મોત નીપજ્યા છે. જોકે આ પૈકી માત્ર એક બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.