રાજકોટ બનશે રામકોટ : પૂ.મોરારીબાપુની કથાનો રોજ ૧ લાખ લોકો લાભ લેશે
સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે કરાયુ આયોજન : ૩૦૦ કરોડનાં ખર્ચે ૧૪૦૦ રૂમમાં, ૫૦૦૦ નીરાધાર-બીમાર-પથારીવશ વડીલોનો સમાવેશ કરશે
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી બધા લોકો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે.ક
કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી,નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે.
રાજકોટમાં છેલ્લા 8 વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં નિઃસંતાન, નિરાધાર, બીમાર 600 વૃદ્ધો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઇ રહ્યા છે.જેમાં 200 વડીલો તો સાવ પથારીવશ છે, ડાઇપર પર છે.વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. 30 એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. આ વૃદ્ધાશ્રમમાં 1400 રૂમ હશે. જેમાં દેશભરના 5000 પથારીવશ,નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ, જતનની પ્રવૃત્તિ પણ પૂરજોશમાં કરવામાં આવે છે. લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ- વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે.
તા.૨૩,નવેમ્બર–૨૦૨૪ થી તા.૦૧,ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે યોજાનાર રામકથાને તેમજ સદભાવના વૃધ્ધાશ્રમ સંસ્થા પરિવારને હિંદુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય સંયોજક પ. પૂ પરમાત્માનંદ સરસ્વતીજીનાં સતત આશીર્વાદ, માર્ગદર્શન મળી રહ્યા છે. ઉલેખનીય છે કે,પ.પૂ પરમાત્માનંદ સરસ્વતીજી સદભાવના વૃધ્ધાશ્રમના માર્ગદર્શક, સંરક્ષક તરીકે સેવા આપી રહયા છે.પતંજલિ વિદ્યાપીઠનાં યોગગુરુ પૂ.બાબા રામદેવ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડૉ.મોહન ભાગવતજી, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી,ગાયત્રી પરિવારનાં ડૉ. ચિન્મય પંડ્યાજી,ગીતામનીષી પુ.જ્ઞાનાનંદજી મહારાજ સહિતનાં સંતો,મહંતો,જાહેર જીવનનાં અગ્રણીઓ,વૈશ્વિક શ્રેષ્ઠીઓ,દાતાઓ ઉપસ્થિત રહેવાના છે.
કોઈ પણ માહિતી માટે સદભાવના વૃધ્ધાશ્રમ,’પીપળીયા ભવન’, સ્વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડી–માર્ટ વાળી શેરી, રાજકોટ-૩૬૦૦૦૪. અથવા મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.
રામકથાની વિશેષતા
રામકથામાં આવવા–જવા માટે સીટી બસ સેવા
વિદેશથી આવનાર લોકો તેમજ આમંત્રિત સહિતનાં 10,000 રામકથા પ્રેમીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા
૪૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.
તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, મેગા રકતદાન કેમ્પ યોજાશે.
સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે.
રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુક્ત બનશે.
ચક્ષુદાન, દેહદાન, અંગદાન,શાકાહાર,ગૌસેવા-જીવદયાનાં સંકલ્પ પત્રો લોકો ભરશે.