રિંગરોડ પર કનકાઈ હોટેલ સહિત ૬ સ્થળેથી ચાના નમૂના લેવાયા
વૉઈસ ઑફ ડે’ના અહેવાલ બાદ ચા ઉપર સતત ધોંસ બોલાવતું તંત્ર
લીમડા ચોકમાં મોમાઈ ટી-સ્ટોલમાંથી તૈયાર ચા તેમજ ચાની ભૂક્કી, કનકાઈ હોટેલમાંથી ચાની ભૂક્કી, મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે જે.પી.પી.ફૂડ ઝોનમાંથી મસાલા ચા અને ચા પત્તીમાં મહાપાલિકાનું ચેકિંગ
વૉઈસ ઑફ ડે, રાજકોટ
`વૉઈસ ઑફ ડે’ દ્વારા તાજેતરમાં જ રાજકોટમાં વેચાતી ચાને લઈને ચોટદાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેને લઈને મહાપાલિકાની ફૂડ શાખાએ દોડતી થઈને થોડા દિવસ અગાઉ ટી-પોસ્ટ સહિતની પ્રતિષ્ઠિત ચાની હોટેલ-દુકાનોમાંથી નમૂના લીધા બાદ હવે રિંગરોડ ઉપર જ આવેલી કનકાઈ હોટેલ સહિત ૬ સ્થળેથી તૈયાર ચા, ચા પત્તી તેમજ ચાની ભૂકીના નમૂના લઈને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે.
ફૂડ શાખા દ્વારા લીમડા ચોકમાં સુદર્શન કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મોમાઈ ટી-સ્ટોલ કે જ્યાં સવારથી લઈ મોડીરાત સુધી હજારોની સંખ્યામાં ચાના રસીયાઓ આવે છે ત્યાં દરોડો પાડીને ચાની ભૂકી (લૂઝ), તૈયાર ચાના નમૂના લીધા હતા. આવી જ રીતે એ.જી.ઓફિસ પાસે, રેસકોર્સ રિંગરોડ પરની હોટેલ કનકાઈમાંથી તૈયાર ચા અને ચાની ભૂક્કી, મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સુવર્ણ ભૂમિ કોમ્પલેક્સ સામે આવેલા જે.પી.પી.ફૂડ ઝોનમાંથી મસાલા ચા તેમજ ચા પત્તીના નમૂના લીધા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તેમજ એફએસડબલ્યુ (ફૂડ સેફ્ટી વ્હીકલ) દ્વારા બજરંગવાડી તેમજ જામનગર રોડ વિસ્તારમાં ખાદ્યપદાર્થનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થીઓનું ચેકિંગ કરતાં ૭ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેમની પાસે લાયસન્સ ન્હોતું તેમાં જય ગણેશ મદ્રાસ કાફે, જય મુરલીધર પાન, રજવાડી દાબેલી, પૂજા કોલ્ડ્રીંક્સ, શ્રી રામ ખમણ, જય સોમનાથ ઘુઘરા અને ક્રિષ્ના ફરસાણ સ્વીટ માર્ટનો સમાવેશ થાય છે. આવી જ રીતે ગાયત્રી ડેરી, રાધે ફરસાણ, દેવ કોલ્ડ્રીંક્સ, રવેચી દુગ્ધાલય, બાલાજી ફરસાણ, મહીરાજ ફરસાણ, ભવાની કોલ્ડ્રીંક્સ, સાંઈ કોલ્ડ્રીંક્સ, દાદાની દયા ફાસ્ટ ફૂડ, અમૃત ડેરી ફાર્મ, આનંદ જનરલ સ્ટોર, બાલકૃષ્ણ સ્વીટ એન્ડ ફરસાણ અને ગુજરાત બેકરીમાં અલગ-અલગ વાનગીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
લેબોરેટરીમાં મોકલાયેલી ચાનો નમૂનો છેક છ મહિને આવશે !
જાણવા મળતી વિગતો પ્રમાણે મહાપાલિકા દ્વારા નમૂનો લેવાયેલી ચા તેમજ ચાની ભૂકીને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવી છે જેનું પરિણામ છેક છ મહિને આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આટલા દિવસ દરમિયાન રાજકોટ કેટલી ચા પી ગયું હશે તેની કલ્પના જ કરવી ઘટે. ન કરે નારાયણ’ને જો ચામાં કશી ભેળસેળ નીકળશે તો છ મહિના બાદ કાર્યવાહી કરવામાં આવશે !!