ભર ચોમાસે મનપાનું બૂલડોઝર ધણધણ્યું
ઘનશ્યામનગરમાં ૧૮ કરોડની જમીન પર ખડકાયેલા દબાણો તોડી પાડ્યા
મહાપાલિકા દ્વારા આમ તો ચોમાસાના ચાર મહિના સુધી કોઈ પ્રકારનું ડિમોલિશન કરવામાં આવતું નથી. જો કે અત્યારે શહેરમાં વરસાદ નહીંવત્ પડી રહ્યો હોવાથી મનપાની માલિકી પર થઈ ગયેલા મસમોટા દબાણ તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ અગ્નિકાંડને કારણે સાવ મૂર્છિત અવસ્થામાં આવી ગયેલી મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ `એક્શન’માં આવી જઈને વોર્ડ નં.૧૭ના ઘનશ્યામનગરમાં ટીપી સ્કીમના પ્લોટમાં ખડકાયેલી ઓરડીઓ તોડી પાડી હતી.
મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડી.પી.દેસાઈએ પહેલી વખત ડિમોલિશન કરવાનો આદેશ આપ્યો હતો જેના આધારે નાયબ કમિશનર એચ.આર.પટેલ તેમજ સિટી ઈજનેર અતુલ રાવલના માર્ગદર્શન હેઠળ ટીપી શાખા દ્વારા ઘનશ્યામનગર વિસ્તારમાં ટીપી સ્કીમ નં.૫ (રાજકોટ)ના ફા,નલ પ્લોટ નં.૨૫૩ કે જે ગરીબો માટેના આવાસ બનાવવા માટેનો પ્લોટ છે તે ૨૫૧૫૯ ચો.મી. જમીન ઉપર ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ૧૮ જેટલી ઓરડીઓ બની ગયાનું ધ્યાન પર આવતાં જ તેના પર બૂલડોઝર ફેરવી દઈને ૧૮ કરોડની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.