કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ અને હત્યાના બનાવમાં સીબીઆઇની 18 દિવસની તપાસ બાદ પણ કોઈ નક્કર પ્રગતિ ન થઇ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ ઘટના બાદ રાજીનામું આપી દેનાર હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષે
સીબીઆઇ દ્વારા અવિરત પૂછપરછ અને બે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પોતાને ઘટના અંગે કોઈ જાણકારી ન હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.સંદીપ ઘોષે તેમને તો આ ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ તે પછી છેક સવારે 10:30 વાગ્યે જાણ થઈ હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ તેમની ઉપર સવારે 10 વાગ્યે હોસ્પિટલના એસોસિયેટ પ્રોફેસર સુમિત રોય નો ફોન આવ્યો હતો. જો કે બાથરૂમમાં સ્નાન કરતા હોવાને કારણે તેમણે એ ફોન ઉપાડ્યો નહોતો. સવારે 10:30 વાગ્યે વળતો ફોન કર્યો ત્યારે તેમને મહિલા તબીબના મૃત્યુ અંગે જાણ થઈ હતી.
ઘોષના જણાવ્યા મુજબ સમાચાર મળતાં જ તેઓ હોસ્પિટલે દોડી ગયા હતા. રસ્તામાંથી તેમણે તાલા પોલીસ સ્ટેશનના અધિકારી ઉપરાંત રોગી કલ્યાણ સમિતિના ચેરમેન સંજય વશિષ્ઠ અને ચેષ્ટ મેડિસિનના વડા ડોક્ટર દતા સાથે ફોન પર વાત કરી ઘટના સ્થળને સુરક્ષિત રાખવાની સૂચના આપી હતી.
નોંધનીય છે કે આ કેસમાં હોસ્પિટલના નાગરિક સ્વયંસેવક સંજય રોયની એકની જ ધરપકડ થઈ છે. ત્યારબાદ સીબીઆઇ દ્વારા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભગીરથ પૂછપર જ કરવામાં આવી રહી છે. તેમની ઉપર બે પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. જો કે તે પછી પણ હજુ સુધી તેમની એક પણ આરોપસર ધરપકડ નથી કરાઈ. બીજી તરફ પકડાયેલા આરોપી સંજય રોયએ તપાસમાં પ્રગતિ થઈ શકે તેવી વધારાની કોઈ માહિતી ન આપતા સીબીઆઇએ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર તથા સિક્યુરિટી ગાર્ડસ ની પૂછપરછ હાથ ધરી છે.