રાજસ્થાનના ચુંટણી પરિણામ વિષે શું કહ્યું અશોક ગેહલોતે ? જાણો…
અશોક ગેહલોતનું ચર્ચા જગાવતું બયાન, એક્ઝિટ પોલ પર ભરોસો નથી, ભાજપ 5 માંથી 1 પણ રાજ્ય નહીં જીતે
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની સાથે રાજસ્થાનના પરિણામો પણ 3 ડિસેમ્બરે આવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં ફરીવાર કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જો કે, તેમણે કહ્યું કે ચૂંટણીમાં ભાજપે ધર્મની આડમાં ડરામણા અને તણાવપૂર્ણ નિવેદનો કર્યા હતા. ભાજપનું ધર્મ કાર્ડ ચાલી જશે તો અલગ વાત છે. ધર્મ કાર્ડ નહીં ચાલે તો અમે ફરીવાર સરકાર બનાવીશું.
ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ અને સર્વે પર એટલું ધ્યાન આપવાની જરૂર નથી. રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે તે નક્કી. ભાજપના નેતાઓ લોકોની સામે ડરામણી અને બદલાની ભાષા બોલી રહ્યા હતા. પીએમ મોદી, અમિત શાહ અને યોગી આદિત્યનાથે ધર્મના નામે એકતા અને ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે.
ગેહલોતે કહ્યું કે, એક્ઝિટ પોલ ગમે તે કહે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે. ભાજપ 5માંથી એક પણ રાજ્યમાં જીતી નહીં શકે. રાજસ્થાનના લોકો ફરીવાર રાજ્યમાં કોંગ્રેસની સરકાર લાવશે અને તેના માટે 3 કારણો છે. પહેલું કારણ એ છે કે સરકાર સામે સત્તા વિરોધી લહેર નથી, એવું નિષ્ણાતો પણ કહી રહ્યા છે. બીજું કારણ સીએમ છે. ભાજપના મતદારો પણ કહેશે કે મુખ્યમંત્રીએ વિકાસના કામો કરવામાં કોઈ કસર છોડી નથી. ત્રીજું પ્રચાર દરમિયાન વડાપ્રધાન, ગૃહમંત્રી, ભાજપના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા બોલવામાં આવતી ભાષા છે. એ ભાષા કોઈને ગમતી નહોતી.