યુપીની 80 મદ્રેસાઓને 100કરોડનું વિદેશી ભંડોળ મળ્યું
એસ આઈ ટી ની તપાસમાં ખુલાસો
ઉત્તર પ્રદેશમાં સરકાર નિયુક્ત એસઆઇટીની તપાસમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ઉત્તરપ્ર દેશમાં 80 મદ્રેસાઓનું સંચાલન કરતી એનજીઓ તથા સોસાયટીઓને 100 કરોડનું વિદેશી ભંડોળ મળ્યું હોવાનું ખુલ્યું છે. આ રકમ ક્યા હેતુ માટે અને ક્યા કાર્યમાં ઉપયોગ માટે ખર્ચવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં ચાલતી મદ્રેસાઓને મળતા વિદેશી ભંડોળની ગંગોત્રી તેમજ એ રકમના ઉપયોગની તપાસ કરવા માટે યોગી સરકાર દ્વારા એડિશનલ ડાયરેક્ટર જનરલ રેન્કના અધિકારીના વડપણ હેઠળ સાયબર સેલ,માઈનોરીટી વેલ્ફેર બોર્ડના ડાયરેક્ટર તથા પોલીસ અધિક્ષકની એસઆઇટી નીમવામાં આવી હતી. તેની તપાસમાં બાહરીચ, સિદ્ધાર્થ નગર, સહરાનપુર, આર્યનગર અને રામપુર સહિતના વિસ્તારોમાં આવેલી 80 મદ્રેસાઓને વિદેશમાંથી આ જંગી ભંડોળ પ્રાપ્ત થયું હોવાનુ ખુલ્યું હતું. તેમાં મુખ્ય હિસ્સો મધ્ય પૂર્વના દેશો,લંડન,તેમજ દુબઈના દાનનો હોવાનું સામે આવ્યું છે. એસઆઇટી દ્વારા હવે આ રકમ ક્યાં હેતુ માટે ઉપયોગમાં લેવાઈ છે તે અંગે મદ્રેસા સંચાલકોનો જવાબ માગવામાં આવશે.સંચાલકોએ ખર્ચના હિસાબ તેમજ ખરીદી ના બિલો સહિતના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
યુપીમાં 25,000 મદ્રેસા
ઉત્તર પ્રદેશમાં કુલ 25000 મદ્રેસા છે. તેમાંથી 16,500 યુપી બોર્ડ ઓફ મદ્રેસા એજ્યુકેશન દ્વારા માન્યતા પ્રાપ્ત છે. માન્યતા પ્રાપ્ત ન હોય તેવી 8500 મદ્રેસાઓએ તેમને મળતી રકમ જકાત અને દાનની રકમ હોવાનું જણાવ્યા બાદ યોગી સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી.