લંડનમાં વિદેશમંત્રી જયશંકર સાથે શું બન્યો ચિંતાજનક બનાવ ? જુઓ
વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લૅન્ડની છ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ગુરુવારે લંડનના થિંક ટેન્ક ચેથમ હાઉસ ખાતે ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ વિષય પર વાત કરી હતી. એવામાં એક ખાલિસ્તાની સમર્થક તેમની કારની સામે આવીને ત્રિરંગાનું અપમાન કર્યું હતું. જો કે વિદેશમંત્રીની નજીક આ દેખાવકારો જઈ શક્ય નહતા. આઘાતની વાત એ છે કે પોલીસની હાજરીમાં જ આ બનાવ બન્યો હતો. આ દેખાવકારો જયશંકર પર હુમલો કરવા માંગતા હતા.
વિદેશ મંત્રી ચથમ હાઉસ પહોંચે તે પહેલા જ ખાલિસ્તાન સમર્થકો ત્યાં ભારત વિરોધી નારા લગાવી રહ્યા હતા. તેમના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જ્યારે વિદેશ મંત્રી જયશંકર પોતાની કાર પાસે આવ્યા ત્યારે તેમની કારની સામે એક વ્યક્તિ આવ્યો હતો. તેણે સૂત્રોચ્ચાર કરતાં ત્રિરંગાને ફાડી નાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
ભારતે નિંદા કરી વિરોધ નોંધાવ્યો
વિદેશ મંત્રાલયે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘અમે લંડનમાં ઉગ્રવાદીઓના જૂથ દ્વારા કરવામાં આવેલા અપરાધનો વીડિયો જોયો. અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે યજમાન સરકાર આવા કિસ્સાઓમાં તેની રાજદ્વારી જવાબદારીઓ પૂર્ણ કરે.’