કેનેડામાં ભારતીય હાઇ કમિશનર સાથે કેવી ઘટના બની હતી ? વાંચો
કેનેડાથી પાછા ભારત બોલાવી લેવાયેલા હાઇ કમિશનર સંજય વર્માએ એક મોટો ખુલાસો શુક્રવારે કર્યો હતો. એમણે એવી આપવીતી સંભળાવી હતી કે કેનેડામાં એકવાર ખાલિસ્તાની હુમલાખોરોએ મારા પર તલવારથી હુમલો કરી દીધો હતો.
એમણે કહ્યું કે સદનસીબે હું અને મારી પત્ની બચી ગયા હતા. તલવાર લઈને ચારેકોરથી અમને ઘેરી લેવાયા હતા પણ અમે બચવામાં સફળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સંજય વર્માએ કેનેડા સરકાર પર ખાલિસ્તાનીઓને સમર્થન આપવાનો આરોપ મૂક્યો હતો.
સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં વર્માએ કહ્યું હતું કે ખાલિસ્તાનીઓ અનેક વાર અમને નુકસાન પહોંચાડવા માટે ઘણા નિકટ આવી ગયા હતા. બધા તલવારો સાથે આવ્યા હતા. તલવારનો એક ઘા 2 ઇંચ દૂરથી જ ટળી ગયો હતો. આ સમયે હું મારી પત્ની સાથે હતો.
વર્માએ કહ્યું હતું કે બહાર નીકળવાના ગેટને હુમલાખોરોએ ઘેરી લીધો હતો. આલ્બર્ટ ખાતે ભારતીયો દ્વારા ડિનરનું આયોજન કરાયું હતું અને તેમાં ભાગ લેવા અમે ગયા હતા. ત્યાં અનેક બિઝનેસમેનો પણ હતા અને અમારી બેઠક થવાની હતી.
આ સ્થળે 150 થી પણ વધુ લોકો ધમાલ મચાવી રહ્યા હતા અને એ બધા ખાલિસ્તાની ટેકેદારો હતા. આ લોકો ખાલિસ્તાનના નામે ખોટા કામ કરવા માટે પંકાયેલા છે. જો કે એમને સરકારનો ટેકો રહ્યો છે.