યુએઈએ ઈરાન સાથેના તમામ વેપાર અને નાણાકીય વ્યવહારો સ્થગિત કર્યા
ખાડીમાં જહાજી પરિવહનને નિશાન બનાવ્યાનો આરોપ
યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ)એ ઈરાન સાથેના તમામ વેપાર, વ્યાપારી વિનિમય અને નાણાકીય વ્યવહારો આગામી સૂચના સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ખાડી વિસ્તારમાં વધતા તણાવ અને તાજેતરની મિસાઇલ ઘટનાના પગલે લેવાયેલા આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરી તણાવ વધ્યો છે.
યુએઈના ગૃહ મંત્રાલયે મંગળવારે રહેવાસીઓને સંભવિત મિસાઇલ ખતરાની ચેતવણી આપતો મોબાઇલ એલર્ટ જારી કર્યો હતો, જેને થોડા સમય બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો. ત્યારબાદ યુએઈએ ઈરાન તરફથી છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઇલો સમુદ્રી જહાજી પરિવહનને નિશાન બનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમાંથી એક દેશની પ્રાદેશિક જળસીમા બહાર અને બીજી જળસીમાની અંદર સમુદ્રમાં પડી હતી. જોકે ઈરાને આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢી, આવા દાવા પ્રાદેશિક વિશ્વાસ અને સુરક્ષા પ્રયાસોને નુકસાન પહોંચાડતા હોવાનું જણાવ્યું હતું.નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં મધ્યપૂર્વમાં યુદ્ધ શરૂ થયા બાદ યુએઈ ઈરાનના હુમલાઓનું સૌથી મોટું નિશાન બન્યું હતું. યુએઈના જણાવ્યા મુજબ તે સમયગાળા દરમિયાન લગભગ 3,000 મિસાઇલ અને ડ્રોન તેના તરફ છોડવામાં આવ્યા હતા. જૂનમાં બંને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર બાદ હુમલાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે તે સમજૂતી તૂટી જતા ફરીથી તણાવ વધી રહ્યો છે. તાજેતરમાં યુએઈની સરકારી તેલ કંપની એડનોક (ADNOC) સાથે સંકળાયેલા અનેક ટેન્કરોને પણ નિશાન બનાવવાના બનાવો સામે આવ્યા હોવાથી અબુ ધાબી સુરક્ષા મુદ્દે વધુ સતર્ક બન્યું છે.
આ પણ વાંચો: 80 %થી વધુ જહાજો ઓમાની માર્ગ વાપરીને બાયપાસ કરી રહ્યા છે, અનેક દેશોને હાશકારો
હોર્મુઝ મુદ્દે ઈરાનનું વલણ અક્કડ
ઈરાને ફરી સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે શાંતિ કરાર ન થાય ત્યાં સુધી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) બંધ રાખવાની તેની નીતિ યથાવત રહેશે. વિશ્વના સૌથી વ્યસ્ત ઊર્જા માર્ગોમાંના એક એવા હોર્મુઝ મારફતે જ યુએઈ સહિતના ખાડી દેશોમાંથી નીકળતું મોટાભાગનું તેલ અને ગેસ વિશ્વબજારમાં પહોંચે છે. ઈરાનના આ વલણને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને જહાજી પરિવહન અંગેની ચિંતાઓ વધુ ઘેરી બની છે. યુએઈએ પણ તાજેતરની મિસાઇલ ઘટનાને સમુદ્રી સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો છે, જ્યારે તેહરાન પોતાના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યું છે.
