ભારતની ગંભીર ખાદ્ય સુરક્ષા કટોકટી
ભારત ઐતિહાસિક રીતે તેના સમૃદ્ધ કૃષિ વારસા માટે જાણીતું રાષ્ટ્ર છે. પણ અત્યારે તે એક નોંધપાત્ર ખાદ્ય સુરક્ષા પડકારનો સામનો કરી રહ્યું છે. આ સુરક્ષા ખોરાકની કિંમતના હિસાબે કે મોંઘવારીને કારણે ઉભી થઇ નથી. વર્તમાન મુદ્દો બહુપરીમાણીય છે અને ગંભીર છે,જેમાં માત્ર પોષણક્ષમતા અને પૌષ્ટિક ખોરાકની પહોંચનો સમાવેશ થતો નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં અપૂરતા ખાદ્ય ઉત્પાદનનો ભય પણ રહેલો છે. ભારતની ખાદ્ય સુરક્ષા કટોકટીની જટિલતાઓ વિષમ છે. ભાવિ પડકારો જેવા કે આબોહવા પરિવર્તન, સામાજિક-આર્થિક પરિબળો અને કૃષિ નીતિઓ એક સાથે મળીને એક અનિશ્ચિત પરિસ્થિતિનું નિર્માણ કરી શકે એમ છે.
કુપોષણના સામાજિક-આર્થિક પરિમાણો
કુપોષણ એટલે કે મલન્યુટ્રીશન સામે ભારતનો સંઘર્ષ નવો નથી. આ સંઘર્ષ તે દેશના સામાજિક-આર્થિક માળખામાં ઊંડે ઊંડે જડાયેલો છે. નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેને તેમના “કેપેબીલીટી થીયરી” દ્વારા પ્રકાશિત કર્યું કે કેવી રીતે દુષ્કાળ અને ખાદ્યપદાર્થોની અછત ઘણીવાર ખોરાકની અનુપલબ્ધતાને બદલે સામાજિક-આર્થિક અવરોધોમાં પરિણમે. આજના ભારતમાં, કુપોષણની સમસ્યા પરિવારોના આર્થિક સંસાધન સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. હરિયાળી ક્રાંતિ પછી ખાદ્યાન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં વસ્તીનો મોટો વર્ગ હજુ પણ ક્રોનિક કુપોષણથી પીડાય છે.

હરિયાળી ક્રાંતિનો એક વિરોધાભાસ એ છે કે જો કે તેનાથી ચોખા અને ઘઉં જેવા મુખ્ય અનાજના ઉત્પાદનમાં નાટ્યાત્મક રીતે વધારો થયો. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS) કઠોળ, ફળો અને શાકભાજીના સમાન મહત્વના પુરવઠાની અવગણના કરીને મુખ્યત્વે ગરીબોને આ અનાજ પ્રદાન કરે છે. આહારમાં આ અસંતુલન વર્તમાન કુપોષણની કટોકટીમાં નોંધપાત્ર ફાળો આપે છે. એક જ અનાજનું ઉત્પાદન વધી જાય તો સમતોલ આહારનું શું?
ભૂખ અને કુપોષણના ચિંતાજનક આંકડાઓ
વિવિધ આરોગ્ય અને પોષણ સર્વેક્ષણોના ચિંતાજનક આંકડાઓને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. 2021 માં, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ અહેવાલ આપ્યો કે 74.1% ભારતીયોને તંદુરસ્ત આહાર પરવડતો નથી. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2023 એ 125 દેશોમાંથી ભારતને 111મું સ્થાન આપ્યું છે, જે ભૂખમરાનો સામનો કરવાની દેશની ક્ષમતામાં ચિંતાજનક વલણ દર્શાવે છે. ભૂખમરો અને કુપોષણની સતત અને બગડતી સમસ્યાને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનો ક્રમ સતત ઘટી રહ્યો છે.

2019 અને 2021 ની વચ્ચે હાથ ધરવામાં આવેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) મુજબ ભારતમાં બાળકોના પોષણનું ચિત્ર યોગ્ય નથી. પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ એક તૃતીયાંશ ભારતીય બાળકોનું વજન ઓછું છે, જેમાં 36% એવા બાળકો છે જે ક્રોનિક કુપોષણ દર્શાવે છે. 19% બાળકો એવા છે જેઓ તેમની ઊંચાઈ (તીવ્ર કુપોષણનો સંકેત) મુજબ વધુ પડતા પાતળા છે. જો કે 2015-16 થી ઓછા વજનવાળા બાળકોની નબળી સ્થિતિને ઘટાડવામાં કેટલીક પ્રગતિ થઈ છે, પરંતુ સુધારાનો દર ચિંતાજનક રીતે ધીમો છે. હાલની ગતિએ, કુપોષણથી પીડાતા બાળકોનું પ્રમાણ 10%થી નીચે લાવવામાં 2076 સુધીનો સમય લાગશે.
એનિમિયાની કન્ડીશન સ્વાસ્થ્યનું બીજું મહત્વનું સૂચક છે. આ સ્થિતિ ભારતમાં બાળકો અને પુખ્ત વયના લોકો બંનેમાં પ્રચલિત છે. NFHS-5 સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે 6 થી 59 મહિનાના 67% બાળકો એનિમિયાથી પીડાય છે. પુખ્ત વયના લોકોમાં 57% સ્ત્રીઓ અને એક ક્વાર્ટર પુરૂષો એનિમિયાથી પીડાય છે, જે તમામ વય જૂથોમાં નબળા પોષણની સમસ્યાને પ્રતિબિંબિત કરે છે.
પ્રતિભાવ અને પારદર્શિતાની આવશ્યકતા
આ સર્વેક્ષણો દ્વારા રજૂ કરાયેલ ડેટાને સરકારે ગંભીરતાથી લીધો નથી. જેના કારણે વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા છે જે પારદર્શિતા અને જવાબદારીને નબળી પાડે છે. ઉદાહરણ તરીકે, NFHS-5 ડેટાના પ્રકાશન પછી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના ડિરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે સર્વેક્ષણ તેમના હાથ નીચે થયું હતું. વધુમાં, સરકારે નક્કી કર્યું કે ભવિષ્યના NFHS સર્વેક્ષણો હવે એનિમિયાને માપશે નહીં! આ એક ખતરનાક પગલું છે જે ગંભીર જાહેર આરોગ્ય મુદ્દાને સંબોધવા કરતાં રાજકીય છબીને પ્રાથમિકતા આપતું જણાય છે.
ખોરાકની ઉપલબ્ધતાનો પડકાર: વર્તમાન અને ભવિષ્ય
ગરીબો માટે ઉપલબ્ધ ખોરાકની ગુણવત્તા ગંભીર ચિંતાનો વિષય છે સાથે સાથે ભવિષ્યમાં ઉપલબ્ધ ખોરાકની માત્રા પણ એટલી જ ચિંતાજનક છે. ખાદ્ય અનાજના ઉત્પાદનને વધારવામાં હરિત ક્રાંતિની સફળતા છતાં, માથાદીઠ અનાજની ઉપલબ્ધતા ઘટી રહી છે. ઉદાહરણ તરીકે, ખાદ્યાન્નની દૈનિક માથાદીઠ ઉપલબ્ધતા 1991માં 510.1 ગ્રામથી ઘટીને 2021માં 507.9 ગ્રામ થઈ છે. આ ઘટાડો ઘણા પરિબળોને આભારી હોઈ શકે છે, જેમાં લણણી પછીનું નોંધપાત્ર નુકસાન, પશુ આહાર તરીકે અનાજનો વધતો ઉપયોગ અને કૃષિ નિકાસમાં થયેલો વધારો સામેલ છે. ખાસ કરીને માંસાહારના વધતા વ્યાપને કારણે મનુષ્ય માટેના ધાન ઉગાડતા ખેતરોની સંખ્યા ઘટવા લાગી છે.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) નો અંદાજ છે કે અપૂરતા સંગ્રહ, જાળવણી અને પરિવહન સુવિધાઓને કારણે ભારતમાં 40% કૃષિ પેદાશો નષ્ટ થાય છે. કાર્યક્ષમ કોલ્ડ ચેઇનનો અભાવ વાર્ષિક 1.3 બિલિયન ટન અનાજનું નુકસાન કરે છે. આ આંકડો દેશના કુલ ઉત્પાદનનો ત્રીજો ભાગ થયો.
મરઘાં અને પશુધન માટેનો પશુ આહાર અનાજ ઉત્પાદન પર બીજી વધતી માંગ છે. આ ઉદ્યોગોના વિસ્તરણ, ગ્રાહકની વધેલી માંગને કારણે, 2012 અને 2019 ની વચ્ચે પશુધનની વસ્તીમાં આશરે 5% નો વધારો થયો છે. વધુમાં, મુખ્ય કૃષિ નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને કારણે નિકાસ આવક 2016-17માં વધીને 33.3 બિલિયન ડોલર થઈ છે. 2021-22માં 50.2 બિલિયન ડોલર થઇ. આનાથી અર્થતંત્રને વેગ મળે છે પણ તે ઘરેલું વપરાશ માટેના અનાજની ઉપલબ્ધતામાં ઘટાડો કરે છે.
ભારતમાં ખાદ્ય સુરક્ષાનું અનિશ્ચિત ભાવિ
આબોહવા પરિવર્તનને કારણે ભારતની ખાદ્ય સુરક્ષા સામેના પડકારો વધુ તીવ્ર થવાની સંભાવના છે. વર્તમાન પ્રવાહો સૂચવે છે કે અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, માંસ અને ઈંડાના માથાદીઠ ઉત્પાદનમાં થોડો વધારો થશે, તેમ છતાં આ વધારો વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતો નથી. ભારતીય વસ્તી સદીના મધ્ય સુધીમાં 1.72 અબજ સુધી પહોંચવાની ધારણા છે, જેના વ્યાપક કુપોષણને ટાળવા માટે ખાદ્ય ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવાની જરૂર પડશે.
જો કે, આબોહવા પરિવર્તન એ કૃષિ ઉત્પાદકતા માટે નોંધપાત્ર ખતરો છે. આબોહવા પરિવર્તન પરની આંતરસરકારી પેનલ (IPCC) એ ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તન પાકની ઉપજમાં નોંધપાત્ર ઘટાડો તરફ દોરી શકે છે, ખાસ કરીને ચોખા અને ઘઉં જેવા મુખ્ય ખોરાકમાં. લાંબા સમય સુધી દુષ્કાળ અને વિનાશક પૂર જેવી આત્યંતિક હવામાન ઘટનાઓને કારણે એક સાથે પાક નિષ્ફળ થવાનું જોખમ પણ વધવાની ધારણા છે. આ આત્યંતિક પરિસ્થિતિઓએ તાજેતરના વર્ષોમાં પહેલેથી જ ભારતીય કૃષિ પર અસર કરી છે, ઘઉંનું ઉત્પાદન 2021માં 113 મિલિયન ટનથી ઘટીને 2022માં 107 મિલિયન ટન થઈ ગયું છે અને 2024માં વધુ ઘટાડો થયો છે.
અપેક્ષિત નબળા પાકના જવાબમાં જુલાઈ 2023 માં બિન-બાસમતી ચોખાની નિકાસ સ્થગિત કરવાનો ભારત સરકારનો નિર્ણય પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવે છે. વૈશ્વિક ચોખાની નિકાસમાં ભારતનો હિસ્સો 40% હોવાથી, આ પગલાની વૈશ્વિક ખાદ્ય કિંમતો પર નોંધપાત્ર અસર પડી, ખાસ કરીને આફ્રિકન દેશો કે જેઓ ભારતીય ચોખાની આયાત પર ભારે નિર્ભર છે.
પર્યાવરણીય અધોગતિ અને પાણીની અછત: સંકટમાં ઉમેરો
પર્યાવરણીય અધોગતિ અને પાણીની અછત એ વધારાના પરિબળો છે જે ભારતની ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકે છે. ધોવાણ, ખારાશ અને અન્ય પ્રકારના પર્યાવરણીય તાણને કારણે ખેતીલાયક જમીનની અધોગતિથી 2050 સુધીમાં ભારતની અડધી ખેતીની જમીનને અસર થવાની ધારણા છે. આ અનિવાર્યપણે કૃષિ ઉત્પાદકતામાં ઘટાડો તરફ દોરી જશે, જે ખાદ્ય સુરક્ષા સંકટને વધુ વધારશે.
ભૂગર્ભજળના સ્તરમાં ભયજનક દરે ઘટાડો થતાં જળ સંસાધનો ઉપર પણ તવાઈ ઉતરે છે. હરિયાળી ક્રાંતિ દરમિયાન ચોખા અને શેરડી જેવા પાણી-સઘન પાકોની વાવણી, વસ્તી વૃદ્ધિ અને વરસાદની પેટર્નમાં ફેરફારને કારણે ભૂગર્ભજળના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પંજાબ અને રાજસ્થાન જેવા કેટલાક વિસ્તારોમાં, ખેડૂતોને પાણી સુધી પહોંચવા માટે 40 મીટરથી વધુ ખોદવું પડે છે.
આર્થિક અને વૈશ્વિક અસરો
ભારતની કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવાની ક્ષમતામાં ઘટાડો પણ વૈશ્વિક ખાદ્યપદાર્થોની અછત અને વધતા ભાવમાં ફાળો આપશે, ખાસ કરીને ચોખા માટે, જેનો ભારત મુખ્ય નિકાસકાર છે. ભારતીય નિકાસ પર આધાર રાખતા દેશો, ખાસ કરીને આફ્રિકામાં આની વિનાશક અસર થઈ શકે છે.
આગળનો માર્ગ: ખાદ્ય સુરક્ષા પડકારનો સામનો કરવો
ભારતના ખાદ્ય સુરક્ષા પડકારનો સામનો કરવા માટે બહુ-આંતરીય અભિગમની જરૂર છે જેમાં કૃષિ ઉત્પાદકતામાં વધારો, ખાદ્ય વિતરણ પ્રણાલીની કાર્યક્ષમતામાં સુધારો કરવો અને આબોહવા પરિવર્તનની અસરોને ઘટાડવાનો સમાવેશ થાય છે. કુપોષણનો અસરકારક રીતે સામનો કરવા માટે, વૈવિધ્યસભર આહારને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે જેમાં માત્ર અનાજ જ નહીં, પરંતુ કઠોળ, ફળો અને શાકભાજીનો પણ સમાવેશ થાય છે. ખાદ્ય પદાર્થોની સુરક્ષા નિશ્ચિત કરવા માટે માંસાહારને ત્યજવો પડશે તો જ મોંઘવારી ઓછી થશે અને ગુણવત્તા સભર ખોરાક મળશે.