આરોગ્ય વીમા પ્રીમિયમમાં શું રાહત મળી શકે છે ? વાંચો
લોકોને આરોગ્ય વીમા પ્રીમિયમમાં રાહત આપવાનો વિચાર કેન્દ્ર સરકારનો છે તેવા અહેવાલો બહાર આવ્યા બાદ હવે આ બારામાં ગંભીરતાથી આગળ વધવામાં આવશે અને સપ્ટેમ્બરમાં રાહતનો નિર્ણય લેવાઈ શકે છે તેવી સંભાવના છે.
8 અને 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળવાની છે અને તેમાં વિમા પ્રીમિયમ પરના જીએસટી દરમાં કાપ મૂકવા અંગે ચર્ચા બાદ ભલામણ થઈ શકે છે અથવા ફેસલો લઈ શકાય છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ બારામાં કેન્દ્ર સરકાર પણ હકારાત્મક વલણ ધરાવે છે.
એમ માનવામાં આવે છે કે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરના જીએસટી દરમાં કાપ મૂકવા અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. તેમજ જીએસટી દરોને ઓવરઓલ વધુ તર્કસંગત બનાવવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રીને પત્ર પાઠવીને વીમા પ્રીમિયમ પરથી 18 ટકા જીએસટી ઘટાડવાની અપીલ કર્યા બાદ સંસદમાં વિપક્ષ દ્વારા પણ આ માંગણી કરાઇ હતી. જો કે પ્રીમિયમ પરથી જીએસટી હટાવી જ લેવાની ગડકરીએ માંગણી કરી હતી.
નાણામંત્રી નિર્મલાએ ગડકરીને એવો જવાબ આપ્યો હતો કે જીએસટી લાગુ થયો તે પહેલાથી જ ટેક્સ લગાવાયો હતો અને તેનો મોટો ભાગ રાજ્ય સરકારોને જ જાય છે. હવે કાઉન્સિલની બેઠક તરફ બધાની નજર મંડાયેલી છે.