ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં મોટા ફેરફારો થઈ શકે છે. આ અંતર્ગતજીએસટીનું માળખું હાલના ચાર સ્લેબથી ઘટાડીને ત્રણ સ્લેબમાં કરી શકાય છે. દેશના બધા જ વેપારી વર્ગ અને ઇન્ડસ્ટ્રી માટે આ સારા સમાચાર છે. લોકોને પણ ફાયદો થશે.
આ બાબતની જાણકારી ધરાવતા એક વરિષ્ઠ અધિકારીએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલ હેઠળની ફિટમેન્ટ કમિટિ, જેમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓનો સમાવેશ થાય છે, તેણે મહેસૂલ તટસ્થ માળખું બનાવવા માટે દરોને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા પર નવેસરથી કામ શરૂ કર્યું છે. આમાં કેટલાક દરો અને ખાસ કરીને 12 ટકાના દરને દૂર કરવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
વર્તમાન દર માળખામાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને મહત્તમ 28 ટકાના પ્રમાણભૂત દરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેટલીક વસ્તુઓ અને સેવાઓ માટે શૂન્ય અને વિશેષ દરો પણ છે.
આ મુદ્દે ફિટમેન્ટ કમિટીએ બેઠક શરૂ કરી છે. કમિટી ટેક્સના દરો અને તેમાં સંભવિત સુધારાઓ માટે ઈનપુટ્સ તૈયાર કરી રહી છે. જીએસટી દરોમાં ફેરફાર સૂચવવા માટે જીએસટી કાઉન્સિલ દ્વારા રચવામાં આવેલા પ્રધાનોના જૂથ સમક્ષ રજૂ કરવામાં આવશે.
મહેસૂલ વિભાગે આશા વ્યક્ત કરી છે કે જીએસટીના સુધારેલા દરો ચાલુ નાણાકીય વર્ષમાં જ લાગુ કરવામાં આવશે. “દરોને તર્કસંગત બનાવવું એ પ્રથમ પ્રાથમિકતા છે કારણ કે કેટલીક છટકબારીઓ દૂર કરવા માટે વર્તમાન કર માળખાને ઑપ્ટિમાઇઝ કરવાની જરૂર છે,” તેમણે જણાવ્યું હતું કે કાઉન્સિલ જુલાઈમાં બજેટ પછી મળવાની અપેક્ષા છે. દરોમાં ફેરફારની રૂપરેખા પર ચર્ચા થઈ શકે છે.
આ પહેલ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું હતું. વર્ષ દરમિયાન માસિક GST કલેક્શન રૂ. 1.7 થી 1.8 લાખ કરોડ રહેવાની ધારણા છે.