દેશમાં કોરોના અંગે શું છે હાલત ? ક્યાં કેસ વધે છે ? વાંચો
કોરોના વાયરસનો નવો પ્રકાર ફરી એકવાર ફેલાવા લાગ્યો છે. જેમ જેમ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ તેના કારણે મૃત્યુના સમાચાર પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે. બેંગલુરુ અને થાણેમાં કોરોના ચેપને કારણે એક-એક દર્દીના મોત થયા છે. આવી સ્થિતિમાં, દેશભરના આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયા છે. તામિલ નાડુમાં માસ્ક જરૂરી હોવાની સૂચના અપાઈ છે. કેરળમાં અને દેશના અન્ય મોટા શહેરોમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમીક્ષા કરીને હોસ્પિટલોને ખાસ સૂચનાઓ આપી છે. અનેક મોટા શહેરોમાં પણ ટેસ્ટીંગની કાર્યવાહી શરૂ થઈ છે.
મહારાષ્ટ્ર, તામિલ નાડુ અને કેરળમાં સૌથી વધુ કેસ આવ્યા છે અને દિલ્હી તેમજ હરિયાણા સહિતના રાજ્યોમાં પણ નવા કેસ બહાર આવ્યા છે. જો કે તબીબોએ એમ કહ્યું છે કે ચિંતાનું કોઈ કારણ નથી પણ સાવધાની જરૂરી છે. મુંબઇમાં પણ કેસ વધી રહ્યા છે. દેશમાં કૂલ કેસની સંખ્યા 362 પર પહોંચી છે.
થાણેમાં એક કોરોના સંક્રમિત યુવકનું મોત થયું હતું. કાલવાના છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં ગંભીર ડાયાબિટીસથી પીડિત 21 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અનિરુદ્ધ માલગાંવકરે જણાવ્યું હતું કે તેમને ગુરુવારે ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા હતા અને શુક્રવારે રાત્રે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
બીજી તરફ, કર્ણાટક આરોગ્ય વિભાગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે બેંગલુરુમાં તાજેતરમાં કોરોનાના કેસ નીકળ્યા પછી શનિવારે શહેરમાં પહેલું મૃત્યુ થયું હતું. બેલગામમાં એક ગર્ભવતી મહિલા કોવિડ-19 થી સંક્રમિત મળી આવી છે. તે ગયા મહિને પુણેની મુલાકાતે ગઈ હતી.