કોવેકસીન રસી અંગે શું આવ્યો અહેવાલ ? જુઓ
કોરોના રોગચાળા દરમિયાન, તેનાથી બચાવવા માટે, દેશમાં મોટી સંખ્યામાં લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી લીધી હતી. પરંતુ, હવે ધીમે ધીમે આ બંને રસીની આડઅસર પ્રકાશમાં આવવા લાગી છે. કોવિશિલ્ડ વિકસાવનાર બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકાએ તાજેતરમાં જ ત્યાંની એક કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેની રસી કેટલાક લોકોને ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
એ જ રીતે, આપણા દેશમાં ભારત બાયોટેક કંપની દ્વારા વિકસાવવામાં આવેલી રસી ‘કોવેક્સિન’ની આડઅસર અંગે એક અહેવાલ આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ રસી લીધા પછી લગભગ એક વર્ષ સુધી, તેની આડઅસર થોડી સંખ્યામાં લોકોમાં જોવા મળી હતી. ટીનેજ છોકરીઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ હતી. કેટલીક આડઅસરો ખૂબ ગંભીર પણ હતી. મોટા ભાગે શ્વાસની તકલીફ થઈ હતી.
‘ઈકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, આ રસીની આડઅસર પર એક ‘નિરીક્ષણ અભ્યાસ’ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એવું બહાર આવ્યું હતું કે ,રસી મેળવનાર ત્રીજા ભાગના લોકોમાં સાઈડ ઇફેક્ટ જોવા મળી હતી. આ અભ્યાસ અહેવાલ સ્પ્રિંગરલિંક જર્નલમાં પ્રકાશિત થયો હતો. બનારસ હિન્દુ વિશ્વ વિધાલય દ્વારા આ બારામાં અભ્યાસ કરાયો છે.
રસી મેળવનારા મોટાભાગના લોકોમાં એક વર્ષ સુધી આડઅસર જોવા મળી હતી. અભ્યાસમાં 1024 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 635 કિશોરો અને 391 યુવાનો હતા. રસીકરણના એક વર્ષ પછી ફોલો-અપ ચેકઅપ માટે તે તમામનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં, 304 કિશોરોમાં એટલે કે લગભગ 48 ટકામાં ‘વાયરલ અપર રેસ્પિરેટરી ટ્રેક ઈન્ફેક્શન’ જોવા મળ્યું હતું.