યુપીમાં વિધાનસભાની પેટા ચુંટણી માટે શું થઈ હિલચાલ ?
યુપીમાં લોકસભાની ચુંટણીમાં શાનદાર સફળતા મેળવ્યા બાદ કોંગ્રેસ અને સપા વિધાનસભાની 10 બેઠકોની થનારી પેટા ચુંટણી પણ સાથે મળીને જ લડશે તેવી જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. ઈન્ડિયા ગઠબંધનમાં શામેલ રહેલી બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની ફાળવણી પણ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું.
જો કે આ માટે સત્તાવાર જાહેરાત થઈ નથી પણ બંને પાર્ટીના સૂત્રોએ મીડિયાને એવી માહિતી આપી હતી કે સપા 7 બેઠકો પર અને કોંગ્રેસ 3 બેઠકો પર લડશે. અખિલેશ યાદવે પણ બુધવારે એમ કહ્યું હતું કે આ ચુંટણીમાં પણ ભાજપ સરકારને કોઈ સફળતા મળશે નહીં અને અમારો વિજય નિશ્ચિત છે.
યુપીમાં 2027માં થનારી વિધાનસભાની ચુંટણી માટે 10 બેઠકોની પેટા ચુંટણીને સેમિફાઇનલ ગણવામાં આવી રહી છે. આ 10 બેઠકો જીતવા માટે ભાજપે પણ બરાબર જોર લગાવ્યું છે. ભાજપ દ્વારા આ માટે મોટી તૈયારી કરી લેવાઈ છે. 10 બેઠકો માટે 30 મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 14 કેબિનેટ મંત્રી શામેલ છે.
ખાસ કરીને અખિલેશ યાદવની સીટ કરહલ અને આયોધ્યાની મિલકીપૂર સીટ જીતવા માટે ભાજપે 4 મંત્રીઓને કામે લગાડી દીધા છે. આ બંને બેઠક પર ભાજપ દ્વારા સૌથી વધુ જોર આપવામાં આવી રહ્યું છે. યુપીમાં જે 10 સીટ પર ચુંટણી થવાની છે તે પૈકીનાં 9 સભ્યો સાંસદ બની ગયા છે.
આ પેટા ચુંટણીમાં પણ ભાજપ અને સપા વચ્ચે જોરદાર ફાઇટની ધરી રચાઇ ચૂકી છે. ભાજપ માટે આ પેટા ચુંટણી પણ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. લોકસભાની ચુંટણીમાં પછડાટ બાદ ભાજપ હવે કોઈ ચાંસ લેવા માંગતો નથી અને પેટા ચુંટણી જીતવા માટે બરાબર બાજી ગોઠવી દીધી છે.