બિહાર વિધાનસભામાં શું થયું ? વાંચો
બિહારમાં છેલા કેટલાક દિવસોથી ચાલી રહેલા નાટકનો અંત સોમવારે આવી ગયો હતો. વિધાનસભામાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે વિશ્વાસ મત સરળતાથી જીતી લીધો હતો અને કોઈ ખેલા થયો નહતો. તેજસ્વિની વાતો હવા થઈ ગઈ હતી. અભિ ખેલા બાકી હૈ તેવા ડાયલોગ સાથે તેજસ્વીએ ચર્ચા જગાવી હતી પણ એવું કશું જ થયું નહતું. નીતીશ કુમાર ફરી એનડીએમાં જોડાઈ ગયા બાદ બિહારના 9 મીવાર મુખ્યમંત્રી બન્યા હતા.
સોમવારે એમણે વિશ્વાસની વૈતરણી પાર કરી લીધી હતી. એનડીએને 129 મત મળ્યા હતા. પ્રથમ ધ્વનિ મત અને ત્યારબાદ વોટિંગ થયું હતું. વિપક્ષે વોકઆઉટ કર્યો હતો. આ પહેલા સ્પીકર અવધ બિહારી વિરુધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો હતો અને એમના સ્થાને ઉપાધ્યક્ષે કાર્યવાહી સંભાળી હતી.
નીતીશ કુમારના ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષે વૉકઆઉટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિપક્ષમાંથી આરજેડીના કેટલાક ધારાસભ્યો સત્તાપક્ષની તરફેણમાં થઈ જતાં નીતીશ કુમારની જીત સ્પષ્ટ દેખાઈ રહી હતી. જેના પગલે તેમને ફાયદો પણ થયો અને વિપક્ષને પોતાની હાર દેખાતા તેમણે વૉકઆઉટ કરી લીધું હતું. રાજદના 3 સભ્યો એનડીએ કેમ્પમાં ભળી ગયા હતા.
સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખશુ: નીતિશ
મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં રજૂ કરાયેલા વિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘અમે વિકાસ માટે અને લોકોના હિતમાં કામ કરવાનું ચાલુ રાખીશું. 2021માં સાત સંકલ્પો શરૂ કર્યા, આજે કેટલો ફાયદો થયો છે. આપણે બધાએ તેને ચાલુ રાખ્યું છે. બિહારનો વિકાસ થશે. સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખશે. આ લોકોનું જે પણ થશે. અમે આ લોકોને માન આપ્યું અને અમને ખબર પડી કે આ લોકો ફક્ત કમાણી કરે છે. આજ સુધી, જ્યારે આ પાર્ટી અમારી સાથે હતી, ત્યારે અમે ક્યારેય આમ તેમ ન કર્યું. પૈસા ક્યાંથી આવ્યા અમે તપાસ કરાવીશું.’
સ્પીકર અવધ બિહારી સામેનો પ્રસ્તાવ પાસ
બિહારમાં અવધ બિહારી ચૌધરીને વિધાનસભા સ્પીકર પદેથી હટાવવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરાયો હતો. આ પ્રસ્તાવ પર વોટિંગ પણ થયું હતું અને તેના પછી પ્રસ્તાવની તરફેણમાં 125 અને વિરુદ્ધમાં 112 મત પડ્યા હતા.
ફરી નીતિશ પલટી નહીં મારે તેની મોદીજી ગેરંટી લેશે ? તેજસ્વીનો સવાલ
તેજસ્વીએ પોતાના સંબોધનમાં નીતિશ પર આકરા પ્રહાર કર્યા હતા અને એમ કહ્યું હતું કે હવે કોઈ બાળક પણ નીતિશનો ભરોસો કરશે નહીં. સમ્રાટ ચૌધરીની પાઘડી વિશે તેજસ્વીએ કહ્યું કે, ‘તેમને અમારા કાકાએ પાઘડી ઉતારવાની સલાહ આપી હશે. સમ્રાટ ચૌધરીના પિતા અમારી પાર્ટીમાં રહ્યા છે, તેમણે નીતિશ વિશે શું કહ્યું છે તે અમે જણાવવા માંગતા નથી. બિહારના બાળકોને પૂછો કે તેઓ કયા શબ્દોનો ઉપયોગ કરશે, અમે તે કહી શકતા નથી. શું મોદીજી એવી ગેરંટી આપશે કે નીતીશ ફરી ગુલાંટ નહીં મારે?’