કર્ણાટકમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
રાહુલ પર કેવો કર્યો હુમલો ?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા- મહારાજાઓની વિરુધ્ધમાં અપાયેલ નિવેદનને લઈને ચર્ચા જાગી પડી છે ત્યારે રવિવારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, ‘કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે.’ નવાબોના અત્યાચાર રાહુલ ગાંધીને યાદ આવતા નથી.
મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. તેમણે રાજાઓનું અપમાન કર્યું છે. ભારતમાં સુલતાનો અને નિઝામો દ્વારા જે અત્યાચારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, ભારતના ભાગલામાં ભૂમિકા ભજવનાર નવાબો યાદ નથી. નવાબો વિશે તો તેમના મોં પર તાળું લાગી જાય છે. આ માનસિકતા છે, જે કોંગ્રેસના ઢંઢેરામાં દેખાય છે.’
એમણે પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે ઈવીએમના બહાને ભારતની લોકશાહીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. 10 વર્ષમાં ભારત વધુ શક્તિશાળી બન્યું છે. ભારતને લોકશાહીની માતા તરીકે ઓળખવામાં આવે છે. 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. જ્યારે ભારત પ્રગતિ કરે છે ત્યારે દરેક ભારતીય ગર્વ અનુભવે છે. કોંગ્રેસ દેશના હિતથી એટલી દૂર થઈ ગઈ છે, પરિવારના હિતમાં ખોવાઈ ગઈ છે, દેશની પ્રગતિ સારી દેખાતી નથી. કોંગ્રેસને ભારતની દરેક સફળતાથી શરમ અનુભવવા લાગી છે.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ ?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરીવાર બફાટ કરી નાખ્યો હતો. કર્ણાટક માં એક જનસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘રાજા-મહારાજાઓનું શાસન હતું, તેઓ જે ઈચ્છતા તે કરી શકતા હતા, કોઈની પણ જમીનની તેમને જરૂર હોય તો તે લઈ લેતા હતા.’ એક માત્ર કોંગ્રેસ જ હતી કે જે એમની સામે લડી હતી. રાહુલના આ નિવેદન પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે અને રાહુલની ટીકા થઈ રહી છે.