સંઘ પરિવારના વડા મોહન ભાગવતે સ્વયંસેવકોને શું શીખ આપી ? વાંચો
સંઘ પરિવારના પ્રમુખ મોહન ભાગવતે રાજસ્થાનમાં સ્વયંસેવક એકત્રીકરણ કાર્યક્રમમાં હાજરી આપીને સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. દેશના હિન્દુ સમાજે ભાષા, જાતિ અને પ્રદેશના વિવાદો ખતમ કરીને પોતાની સુરક્ષા માટે એક થઈ જવું જોઈએ.
મોહન ભાગવતે 4 હજાર સ્વયંસેવકોને સંબોધન કરતાં કહ્યું કે હિન્દુઑ દરેકને પોતાના જ માને છે અને બધાને ગળે લગાવે છે . આ તકે સંઘ પરિવારના વરિષ્ઠ પદાધિકારી રમેશ અગ્રવાલ, જગદીશ સિંહ રાણા, રમેશચંદ મહેતા અને રાધેશ્યામ ગર્ગ ખાસ હાજર રહ્યા હતા.
ભાગવતે વધુમાં સમાજ કેવો હોવો જોઈએ તેનો ખ્યાલ આપીને કહ્યું હતું કે એવા સમાજનું નિર્માણ થવું જોઈએ જ્યાં સંગઠન, સદભાવના અને શ્રધ્ધા હોય. લોકોમાં અનુશાસન હોય તે જરૂરી છે. સાથે દેશ પ્રત્યે પોતાની જવાબદારીને પણ બધાએ સમજવી જોઈએ. પોતાના હેતુઓ પ્રત્યે બધા સમર્પિત હોય તેવો સમાજ આજે જરૂરી છે.
એમણે કહ્યું કે સંઘ પરિવારની કામ કરવાની પધ્ધતિ વિચાર આધારિત છે.એમણે સ્વયંસેવકોને સમુદાયોની અંદર સંપર્ક બનાવી રાખવાનો આગ્રહ કરીને કહ્યું હતું કે સ્વયંસેવકોએ હમેશા સક્રિય રહેવું જોઈએ. લોકોને મળીને પરિવારોમાં સદભાવ વધે તેવો પ્રયાસ કરવો જોઈએ. પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા જોઈએ. સ્વદેશી મૂલ્ય અને નાગરિકોની ચેતનાને પ્રોત્સાહન આપવું જોઈએ. આ બધુ સમાજ માટે પાયાનું કામ છે.
ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અંગે બોલતાં એમણે કહ્યું હતું કે આપણી વૈશ્વિક પ્રતિષ્ઠા તેની તાકાત પર નિર્ભર છે. સાથે વિદેશમાં રહેતા ભારતના નાગરિકોની સુરક્ષા ત્યારે જ સુનિશ્ચિત થઈ શકે જ્યારે એમનું રાષ્ટ્ર મજબૂત હોય.