બેન્કો વિષે આરબીઆઇના ગવર્નરે શું કહ્યું ? વાંચો
દેશમાં અને દુનિયામાં ફુગાવાની સ્થિતિ ખરાબ રહી છે છતાં ભારતની હાલત અન્ય દેશો કરતાં સારી રહી છે. આમછતાં દેશમાં વધતી જતી મોંઘવારી અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે વર્તમાન સમયમાં ચોતરફી પડકારો સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. એટલા માટે અમે મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં ભર્યા છે. સાથે જ ગત 1.5 વર્ષમાં જે નિર્ણયો આરબીઆઈએ લીધા છે તેનાથી દેશમાં સ્થિતિ સ્થિર રહી છે. એમણે બેન્કોને ટેસ્ટમેચની જેમ લાંબી ઇનિંગ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી.
એમણે ફિક્કી અને ભારતીય બેન્ક સંઘ દ્વારા આયોજિત વાર્ષિક કાર્યક્રમને સંબોધતાં રિસ્ક વેટેજ મામલે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો અને કહ્યું કે ભારે મંથન બાદ આ નિર્ણય લેવાયો છે. એટલા માટે બેન્કોએ લાંબા પ્લાન પર કામ કરવાની જરૂર છે. શોર્ટ ટર્મમાં ક્યાંક ને ક્યાંક બેન્કો સાથે ઈકોનોમીને પણ ખતરો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ આરબીઆઈએ અનસિક્યોર્ડ લોન પર રિસ્ક વેટેજ 25 ટકાના દરે વધારી દીધો હતો.
શક્તિકાંતે કહ્યું કે હાલમાં બેન્ક પર્સનલ લોનની સાથે ઓટો સેક્ટરમાં પણ ઝડપથી લોન આપી રહી છે. એટલા માટે કંઝ્યૂમર લોન્ સુધી જ રિસ્ક વેટેજને વધારાયું છે. અનસિક્યોર્ડ લોનથી દેશની ઈકોનોમી પર પ્રેશર વધે છે એટલા માટે રિસ્ક વેટેજનો નિર્ણય ઠીક છે. બેન્કોએ ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપવું જોઇએ.
મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આરબીઆઈએ રેપો રેટ માર્કેટમાં સ્થિતિ મુજબ ફેરફાર કર્યા છે. અમારી નજરો દેશની મોંઘવારી પર છે. રિટેલના પરિણામ આશા પ્રમાણેના જ છે તેમ છતાં અમારી નજર રેપો રેટ પર છે. જ્યારે ભારતીય રૂપિયાએ પણ અમેરિકી માર્કેટના પ્રેશરમાં ખુદને વધારે તૂટવા નથી દીધો.