દિલ્હીમાં આપ સરકાર ગઈ ત્યારબાદ ભ્રષ્ટાચાર સામે શું કાર્યવાહી થઈ ? વાંચો
દિલ્હીમાં આપ સરકારની હાર થઈ છે અને ભાજપ સરકાર બનાવી રહી છે ત્યારે ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી યથાવત જ રાખવામાં આવી છે. પરિવહન વિભાગના 6 અધિકારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઇએ ભ્રષ્ટાચાર અને લાંચના આરોપમાં દિલ્હી પરિવહન વિભાગના 6 અધિકારીઓની ધરપકડ કરી હતી. આપની સરકાર ભ્રષ્ટાચારને કારણે જ ગઈ છે તેમ માનવામાં આવે છે .
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાજેતરની ચૂંટણીમાં સત્તારુઢ આમ આદમી પાર્ટીની હાર પછી રાજધાનીમાં આ પહેલી મોટી કાર્યવાહી છે. મંગળવારે સાંજે આ તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર સામે એજન્સીને ફરિયાદો મળી રહી હતી.

આ મામલે સીબીઆઇએ જણાવ્યું હતું કે, ધરપકડ કરતાં પહેલા ફરિયાદોનું નિરીક્ષણ અને ચકાસણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફરિયાદોની ચકાસણીમાં પ્રથમ દૃષ્ટિએ વિવિધ સ્તરે ભ્રષ્ટાચારના સંકેતો મળ્યા છે, જેના પગલે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ તમામની પૂછપરછ ચાલી રહી છે.
પરિવહન વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એજન્સી તેમની કસ્ટડી માંગશે. તપાસ બાદ ખબર પડશે કે, તેઓ લાંચ પોતે લઈ રહ્યા હતા કે કોઈ ઉચ્ચ અધિકારીને આપી રહ્યા હતા.