ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંવાદને અમેરિકા અને યુકેનું સમર્થન
કાશ્મીર મુદ્દે મધ્યસ્થી બનવાની ટ્રમ્પે કરેલી દરખાસ્ત ભારતીય નકારી કાઢ્યા બાદ હવે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંવાદને સમર્થન આપ્યું હતું.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પ્રવક્તા ટેમી બ્રૂસે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ સંદર્ભે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિઓએ યુકેના ફોરેન સેક્રેટરી લેમી સાથે કરેલી વાતચીત બાદ એ બન્ને દેશોએ યુદ્ધવિરામ જાળવવા અને બંને દેશો વચ્ચે સંચારની ચેનલો ખુલ્લી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે રુબિઓએ શનિવારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાતચીત કરી હતી. બાદમાં ભારતના વિદેશ મંત્રી જયશંકરે શનિવારે ભારતનો અભિગમ હંમેશા સંયમિત અને જવાબદાર રહ્યો હોવાનું જણાવ્યું હતું.
આ પહેલા, ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામ કરાર પર સહમતિ દર્શાવ્યાના એક દિવસ બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવાની અને કાશ્મીર મુદ્દે “હજાર વર્ષ” બાદ ઉકેલ લાવવા માટે બંને દેશો સાથે કામ કરવાની ઓફર કરી હતી. મધ્યસ્થીની તેમની એ દરખાસ્તનું પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે સ્વાગત કર્યું હતું અને હસ્તક્ષેપની ઇચ્છા વ્યક્ત કરવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો. જોકે, ભારત પોતાના વલણ પર અડગ રહ્યું છે.
ભારતે સ્પષ્ટ કર્યું હતું કે બાકી રહેલો એકમાત્ર મુદ્દો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની વાપસી છે.ભારતે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓને સોંપવાની ચર્ચા કરવા તૈયાર ન થાય ત્યાં સુધી વાત કરવાનો કોઈ અર્થ ન હોવાનો નિર્દેશ આપી એની કોઈની મધ્યસ્થી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.