કોંગ્રેસનો યુ ટર્ન, ચૂંટણી પૂરી થતાં જ સામ પિત્રોડાની ઘરવાપસી
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષપદે ફરી નિમણુક
લોકસભાની ચૂંટણી સમયે બે બે સેલ્ફ ગોલ કરી કોંગ્રેસની હાલત કફોડી કર્યા પછી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપનાર સામ પિત્રોડાની ફરી એ પદ પર વરણી કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલુ હતો ત્યારે જ સામ પિત્રોડાએ અમેરિકામાં અમલમાં રહેલા વારસાઇ કાનૂન અંગે ટિપ્પણી કર્યા બાદ ભાજપ એ મુદ્દો ઉપાડી લીધો હતો. ખુદ વડાપ્રધાન મોદીએ, કોંગ્રેસ મહિલાઓના મંગલસૂત્ર છીનવી લઈ ને મુસલમાનોને આપી દેશે અને બે ભેંસ હોય તો કોંગ્રેસ એક ભેંસ લઈ લેશે તેવો પ્રચાર કર્યો હતો.
એ વિવાદ ગાજતો હતી ત્યાં પિત્રોડાએ વધુ એક ભાંગરો વાટ્યો હતો. ભારતની વિવિધતા વર્ણવતા તેમણે કહ્યું હતું કે પૂર્વ ભારતના લોકો ચીના જેવા અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે. તેમના આ નિવેદનને ભાજપે રંગભેદી ગણાવ્યું હતું. પિત્રોડા એ કાળી ત્વચાનું અપમાન કર્યું હોવાના આક્ષેપો થયા હતા.
ચૂંટણી સમયે તેમના આ નિવેદનો નુકસાન કરતા હોવાનું જણાયા પછી કોંગ્રેસે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું માંગી વિવાદ ટાઢો પાડવાની કોશિશ કરી હતી.
જો કે હવે ચૂંટણી પતી ગયા બાદ તેમની ફરી એક વખત એ જ પદ ઉપર નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે જે તે સમયે સામ પિત્રોડા એ પોતાની મરજીથી રાજીનામું આપ્યું હતું. સામ પિત્રોડા એ કહ્યું કે મારા નિવેદનોને મારી મચડીને રજૂ કરાયા હતા. મને ખુલાસો કરવાની પણ તક નહોતી આપવામાં આવી.
રાજીનામું નાટક થી વધારે કાંઈ નહોતું: ભાજપ
સામ પિત્રોડા ની ઘર વાપસી બાદ ભાજપે વડાપ્રધાન મોદીના એક ઇન્ટરવ્યૂની વીડિયો ક્લિપ જારી કરી હતી.
તેમાં મોદીએ કહ્યું હતું કે સામ પિત્રોડા આ બધા નિવેદનો પોતાની મરજીથી કરતા હોય તેવું હું નથી માનતો.ભ્રમ ઊભા કરવા, વાતાવરણ બદલવું, નવા નવા મુદ્દા ચગાવવા એ કોંગ્રેસની રણનીતિ છે. આજે ભલે સામ પિત્રોડા નું રાજીનામું લીધું પણ ભવિષ્યમાં કોંગ્રેસ તેમને ફરી એ જ પદ પર બેસાડશે તેવું મોદીએ એ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.