કાલે દેવદિવાળી: સૌરાષ્ટ્રમાં શરણાઈના સૂર સાથે ઉજવાશે તુલસીવિવાહ
દેવદિવાળીને પ્રબોધની એકાદશી તરીકે પણ મનાવાય છે: ઠાકોરજી અને તુલસીજીના વિવાહ પછી લગ્નની મોસમ: અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો
કારતક સુદ અગિયારસ ને તારીખ ૧૨ નવેમ્બર ને મંગળવાર ના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને રિવાજ પ્રમાણે સૌરાષ્ટ્રમાં દેવ દિવાળી કારતક સુદ અગિયારસના દિવસે ઉજવવામાં આવે છે તે સિવાય ભારતમાં બીજી બધી જગ્યાએ કારતક સુદ પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવવામાં આવે છે
પૌરાણિક કથા પ્રમાણે અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ એ શંખાસુર ને મારી ક્ષીર સાગરમાં પોઢી જાય છે. સાડા ચાર માસ પછી વિષ્ણુ ભગવાન પાછા કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી ના દિવસે જાગે છે. તે પછી તેમના વિવાહ વૃંદા માંથી તુલસી બનેલ દેવી સાથે થાય છે ત્યાર બાદ ભગવાન વિષ્ણુ વિષ્ણુ લોકમાં પાછા જાય છે ,દેવતાઓ તેમનો દિવડા પ્રગટાવી સ્વાગત કરે છે આથી આ દિવસ ને દેવોની દિવાળી એટલે કે દેવ દિવાળી કહેવામાં આવે છે આમ આ દિવસે તુલસી વિવાહ નુ મહત્વ છે તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ ભાઈ જોશી જણાવ્યું હતું.
દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે એવી માન્યતા છે. આ દિવસે ઉપવાસ કરવાથી એક હજાર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે તથા સો રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ મળે છે તથા બધા જ પાપ નાશ પામે છે.
શેરડીનો માંડવો બનાવવાનુ મહત્વ :-
દેવદિવાળીના દિવસે ખાસ કરીને તુલસી પૂજા નુ તથા શાલિગ્રામ ની પૂજા નુ મહત્ત્વ વધારે છે. સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલસીજી ને ચૂંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાશી ઉપર રાખવા તેના ઉપર શેરડીના સાંઠા નો માંડવો કરવો,ભગવાનને કુદરતી લીલો મંડપ કરાતો હોવાથી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તે ઉપરાંત શેરડી ધરવામાં આવે છે. શેરડીમાં ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવા થી દાંપત્યજીવન મા પણ મીઠાશ આવે છે. અષાઢ સુદ અગિયારસ ના દિવસ થી દેવતાઓ પોઢી જાય છે અને દેવદિવાળી ના દિવસથી દેવતાઓ જાગે છે, આથી આ દિવસ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે.
તુલસી વિવાહનુ પૂજન :-
દેવદિવાળીના દિવસે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસીપત્ર ચડાવવા ઉત્તમ છે. તુલસીવિવાહ માટે સાંજે પ્રદોષ કાળ શુભ સમય સાંજના ૬.૦૫ થી ૮.૩૬ સુધીનો છે. તુલસી વિવાહ કરવાથી ઘરમાં સુખ-શાંતિમાં વધારો થાય છે અને દાંપત્યજીવનમાં મીઠાશ આવે છે.જે કોઈ લોકોને પોતાની કુંવારી કન્યા મૃત્યુ પામી હોય તો તેની પાછળ પણ તુલસી વિવાહ લોકો કરાવતા હોય છે. દેવદિવાળી ના દિવસે સાંજ ના સમયે તુલસીજી પાસે ચોખ્ખા ઘી નો દીવો કરી તુલસી તથા શાલિગ્રામ નુ પૂજન કરી ૧૦૮ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ બોલી અને ૧૧ પ્રદક્ષિણા ફરવાથી જીવનની મુસીબતો દૂર થાય છે.
દેવદિવાળીમાં ભગવાનનું ખાસ પૂજન કરવામાં આવે છે. દેવતાઓની દિવાળી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. શાલિગ્રામ વિષ્ણુ ભગવાન નુ સ્વરૂપ છે આથી ભગવાનની પોડશોપચાર પૂજા કરવામાં આવે છે.લોકો ઘણી જગ્યાએ ઘરમા ફ્લેટમા મંદિરમા ધામધૂમ થી કરવામા આવે છે અને લોકો જાનપક્ષ અને કન્યા પક્ષ વાળા બને છે અબીલ ગુલાલ કંકુ ઉડાડી આને ઢોલ બેન્ડ વાજા સાથે ધાર્મિક વિધિ વિધાન સાથે તુલસી વિવાહ કરશે.
