ચૂંટણીના પરિણામ પછી શેરબજારમાં જોરદાર તેજી આવશે : નરેન્દ્ર મોદી
શેરબજારમાં જેટલા વધુ રોકાણકારો રોકાણ કરશે તેટલું અર્થતંત્ર માટે સારું રહેશે.
દેશમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે પરિણામો બાદ માર્કેટમાં જોરદાર ઉછાળાની આગાહી કરી હતી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે, પરિણામ આવે ત્યાર પછી અઠવાડિયા સુધી શેરબજારમાં જોરદાર તેજી જોવા મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શેર માર્કેટ વિશે વાત કરતા કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ આવશે અને આ પરિણામો આવ્યા બાદ ભારતીય શેરબજાર તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. પીએમ મોદીએ આગળ કહ્યું, ‘તમે જોશો કે ચૂંટણીના પરિણામો પછી, આખા અઠવાડિયામાં એટલો બધો વેપાર થશે કે જે લોકો તેને ચલાવે છે થાકી જશે.’ તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં બજાર 25,000 થી 75,0000 સુધીની સફર કરી ચૂક્યું છે.
એક ટીવી ચેનલને આપેલા આ ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળાની આશા પણ વ્યક્ત કરી હતી. વડા પ્રધાનના જણાવ્યા અનુસાર, આ દિવસોમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના શેર વધી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે શેરબજારમાં જેટલા વધુ રોકાણકારો રોકાણ કરશે તેટલું અર્થતંત્ર માટે સારું છે. તેમણે કહ્યું કે અમારી સરકારે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે મહત્તમ આર્થિક સુધારા કર્યા છે અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આર્થિક નીતિઓ લાગુ કરી છે. તેની અસર પણ સ્પષ્ટ દેખાય છે.
નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે , હું ઈચ્છું છું કે નાગરિકોમાં જોખમ લેવાની ક્ષમતા વધવી જોઈએ. શું થશે અને હું શું કરીશ? આવું વિચારીને જીવવાનો કોઈ અર્થ નથી, અગાઉ PSUના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે તે વધી રહ્યો છે. વિપક્ષ HAL વિશે ઘણી વાતો કરતો હતો, પરંતુ આજે સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ચોથા ક્વાર્ટરમાં 4000 કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો નોંધાવ્યો છે.