નોરતું પહેલું: તંત્રએ આયોજકોને, આયોજકોએ ખેલૈયાઓને લેવડાવ્યા ગરબા’
શહેરમાં ૩૧ સ્થળે અર્વાચીન રાસોત્સવના આયોજન માટે પોલીસ દ્વારા છેલ્લી ઘડીએ અપાઈ
મંજૂરી’
મહાપાલિકાએ આંખ' બંધ કરીને મંજૂરીઓ આપી; હોસ્પિટલોની બાજુમાં આયોજન નહીં કરવાના નિયમનો ઉડ્યો છેદ !
છેવટ સુધી અરજીઓ
દબાવી’ રાખ્યા બાદ પહેલાં નોરતે બપોરે ૪ વાગ્યાથી દરેક પોલીસ મથકે શરૂ કર્યું ચેકિંગ’ને છ વાગ્યે લાયસન્સ શાખાને મોકલ્યો અભિપ્રાય
નિયમોનું ખરેખર પાલન થયું જ છે કે નહીં ? હવે એ તો પોલીસ અને મનપા જાણે !!
નવલી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે અને ખેલૈયાઓએ નવ દિવસ સુધી અવનવા સ્ટેપ્સ સાથે ગરબે રમવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે રાજકોટમાં ૩૧ સ્થળે અર્વાચીન રાસોત્સવનું આયોજન થયું છે. જો કે અગ્નિકાંડ બાદ પોલીસ અને મહાપાલિકા તંત્ર દ્વારા ફૂંકી ફૂંકીને છાશ પીવાની માફક રાસોત્સવને મંજૂરી આપતા પહેલાં દરેક બાબતની ચકાસણી કર્યા બાદ જ મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો હોય પ્રથમ નોરતે ઢોલની દાંડી પીટાય ત્યાં સુધી મંજૂરી માટે આયોજકોએ દોડવું પડ્યું હતું.
ખાસ કરીને પોલીસ દ્વારા અપાતી મંજૂરી માટે આયોજકોને પરસેવો વળી ગયો હતો. આ સાથે જ તંત્રએ આયોજકોને અને આયોજકોએ ખેલૈયાઓને ગરબા' લેવડાવ્યા હતા. અર્વાચીન રાસોત્સવમાં કોઈ પ્રકારની ઘટના ન બની જાય તે માટે પોલીસ તેમજ મહાપાલિકા દ્વારા આકરાં નિયમો અમલી બનાવવામાં આવ્યા હતા અને તેની આગોતરી જાણ પણ કરી દેવામાં આવી હતી.
આ પછી આયોજકો દ્વારા મંજૂરી માટે એક બાદ એક અરજી પણ કરવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા તો
આંખ’ બંધ કરીને મંજૂરી આપી જ દેવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા ક્યાંય પણ કાચું કપાઈ ન જાય તેનું ધ્યાન રાખ્યું હોવાથી પ્રથમ નોરતે સાંજે ૭ વાગ્યા સુધીમાં એક પણ આયોજનને મંજૂરી આપી ન હોવાનું જાણવા મળ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે પોલીસ તંત્ર દ્વારા છેવટ સુધી અરજીઓ `દબાવી’ રાખ્યા બાદ પ્રથમ નોરતે બપોરે ચાર વાગ્યાથી જે વિસ્તારમાં અર્વાચીન રાસોત્સવનું આયોજન થયું હતું તે વિસ્તારના પોલીસ મથક દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આયોજકો પાસેથી દરેક પ્રકારના દસ્તાવેજી પૂરાવા મંગાયા હતા. વળી, જે પૂરાવો ઘટતો હોય તે રજૂ કરવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો જેથી છેલ્લી ઘડીએ પૂરાવો શોધીને રજૂ કરવા માટે આયોજકો પણ લાંબા થઈ ગયા હતા. ચેકિંગ કર્યા બાદ પોલીસ મથક દ્વારા લાયસન્સ શાખાને અભિપ્રાય મોકલવામાં આવ્યો હતો.
પોલીસ મથક દ્વારા અભિપ્રાય આવી ગયા બાદ લાયસન્સ શાખા દ્વારા ઈન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા સમક્ષ ફાઈલ મુકવામાં આવી હતી અને આખરી હસ્તાક્ષર દ્વારા દ્વારા કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે એક પણ રાસોત્સવને મંજૂરી ન અપાઈ હોય તેવું ધ્યાન પર આવ્યું નથી. આ બધું જોતાં એક પ્રશ્ન ઉપસ્થિત થયા વગર રહેતો નથી કે ખરેખર દરેક નિયમનું પાલન કરવામાં આવ્યું હશે કે કેમ ? જો કે આ પ્રશ્નનો સચોટ જવાબ પોલીસ અને મહાપાલિકા તંત્ર જ આપી શકે છે !!