દેશના વિકાસમાં ક્ષત્રિયોના બલિદાનને ભૂલી શકાય નહીં : મોદી
જામનગરમાં વડાપ્રધાને સભા સંબોધી બે દિવસનો પ્રવાસ પૂર્ણ કર્યો: કોંગ્રેસના વિચારો ખતરનાક છે માટે સાવચેત રહેવાની સલાહ: અનામત અંગે કોંગ્રેસ દેશમાં ભ્રમ ફેલાવે છે: જામનગરનો દેશના વિકાસમાં મહત્વનો ફાળો
ગુરુવારે ગુજરાતનાં બે દિવસના પ્રવાસની પૂર્ણાહુતિ પહેલા વડાપ્રધાન મોદીએ જામનગરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ, પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું. વડાપ્રધાને સંબોધનમાં કહ્યું હતું કે દેશના વિકાસમાં ક્ષત્રિયોના બલિદાનને ભૂલી શકાય જ નહીં. કોંગ્રેસ પર એમણે આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે કોંગ્રેસના વિચારો અને એજન્ડા ખતરનાક છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે.
જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે
જામનગરમાં સભા પહેલા વડાપ્રધાન મોદીએ જામ સાહેબની મુલાકાત કરી હતી. આ દરમિયાન જામ સાહેબે વડાપ્રધાન મોદીને હાલારી પાઘડી પહેરાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતા. એમણે કહ્યું કે . જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કાંઈ બાકી જ ના રહે. એટલે મારા માટે તો જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતે હાલમાં દેશ માટે જેટલું યોગદાન આપ્યું છે, એટલું જ યોગદાન ભૂતકાળમાં પણ અપાયું છે. જામનગરના મહારાજા દિગ્વિજય સિંહજીએ બીજા વિશ્વ યુદ્ધના સમયે પોલેન્ડના નાગરિકોને અહીં આશરો આપ્યો હતો. આજે પણ જ્યારે પોલેન્ડની પાર્લામેન્ટ શરૂ થાય છે, તો સૌથી પહેલા જામનગરનું અને મહારાજા દિગ્વિજય સિંહજીનું સ્મરણ કરવામાં આવે છે, પછી પાર્લામેન્ટ શરૂ થાય છે.
આપણા દેશના રાજા-મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાની પેઢીઓ અને રાજપાટ આપી દીધા હતા. તેમના યોગદાનને આ દેશ ક્યારે નહીં ભૂલી શકે.
ભૂચર મોરીના કાર્યક્રમમાં ગયો હતો
ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈએ ભેળવી દીધું છે કે તમે ભૂચર મોરીના સ્થાને જાવ એટલે તમારૂ મુખ્યમંત્રીનું પદ જતું રહે, એટલા માટે ત્યાં કોઈ મુખ્યમત્રી જતા ન હતા. ત્યારે મેં કહ્યું કે, મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી. હું આવીશ જ. અને હું આવ્યો હતો અને ખૂબ ઉલ્લાસથી તે કાર્યક્રમને મેં વધાવ્યો હતો. એટલે જામનગર સાથેની એવી અનેક યાદો સાથે હું આજે ફરી જામનગર આવ્યો છું.
કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટી હાલ બે વ્યૂહનીતિઓ પર ચૂંટણી લડી રહી છે. જાતિના નામ પર સમાજને વહેંચવો. તૃષ્ટીકરણ દ્વારા વોટ બેંકને એકજુટ કરવી. કોંગ્રેસ પાર્ટી એસસી-એસટી અને ઓબીસીના અનામતને છીનવીને ધર્મના આધાર પર અનામત આપવા માટે બંધારણને બદલવા અને મુસ્લિમોને અનામત આપવાની તૈયારી કરી રહ્યું છે. કુપ્રચારથી શરૂ થયેલી કોંગ્રેસની વ્યૂહનીતિ આજે હતાશાથી ઘેરાઈ ચૂકી છે. એમની જે હતાશા પહેલા ગુજરાતને લઈને હતી, આજે કોંગ્રેસમાં દેશની પ્રગતિને લઈને પણ તે હતાશા છે, એજ નફરત નસેનસમાં ભરેલી પડી છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આવનારા દિવસો સ્વર્ણ અક્ષરે લખી રાખજો. વિમાન ગુજરાતમાં બનવાના, ઈલેક્ટ્રિક વ્હિકલ ગુજરાતમાં બનવાના, દુનિયાના ચાર-પાંચ દેશ છે જ્યાં સેમિકન્ડક્ટર છે. આ સેમિકન્ડક્ટર હિન્દુસ્તાનમાં ગુજરાતમાં બનવાના. એક જમાનો આવશે જ્યારે ભારતમાં જે ઈલેક્ટ્રિક વ્હિકલ ચાલતા હશે ને એની ચિપ ગુજરાતમાં બની હશે.