PM મોદીના વિમાન પર આતંકી હુમલો કરી શકે છે !! મુંબઈ પોલીસને આવ્યો ધમકીભર્યો કોલ, આરોપીની ધરપકડ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રવાસ બાદ અમેરિકા માટે રવાના થયા છે ત્યારે મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાન પર આતંકવાદી હુમલાની ધમકી મળી હતી. ‘મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો કૉલ આવ્યો હતો, તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે, આતંકવાદી વડાપ્રધાન મોદીના વિમાન પર હુમલો કરી શકે છે.
આ બારામાં પોલીસ તપાસ બાદ ચેમ્બુરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી અને તેની સઘન પૂછપરછ થઈ હતી. જો કે કોલ કરનાર માનસિક રીતે બીમાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે મુંબઈ પોલીસે જણાવ્યું કે, ‘મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કૉલ કરનાર વ્યક્તિની ચેમ્બુર વિસ્તારમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી. આ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે.’અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વડાપ્રધાન મોદીને અનેક વાર ધમકીઓ મળી ચૂકી છે અને એમની સુરક્ષા વ્યવસ્થા મજબૂત જ રાખવામાં આવી છે.