મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
શનિવારે રાત્રે મેઈતેઈ સંગઠન અરમ્બાઈ તેંગગોલના નેતા કનન સિંહ અને કેટલાક અન્ય સભ્યોની ધરપકડના અહેવાલો બાદ મણિપુરમાં અનેક સ્થળે હિંસક તોફાનો ફાટી નીકળતા ફરી અશાંતિ સર્જાઈ હતી.બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો જ્યારે પાંચ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવાઈ હતી.
ધરપકડના વિરોધમાં કેટલાક યુવાનોએ માથા પર પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો કર્યા કરતા મામલો સ્ફોટક બની ગયો હતો.
શનિવારે રાત્રે રાજ્યની રાજધાનીમાં અનેક સ્થળોએ દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે ઝડપ થઈ હતી. ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના ખુરાઈ લામલોંગ વિસ્તારમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ એક બસને આગ લગાડી હતી. ક્વાકેઈથેલમાં ગોળીબારના અનેક અવાજો સંભળાયા હતા.જોકે કોણે ગોળીબાર કર્યો તે સ્પષ્ટ થયું નથી.

ધરપકડ કરાયેલા નેતાને રાજ્ય બહાર લઈ જવામાં આવશે તેવી અફવાને પગલે મોટી સંખ્યામાં દેખાવકારો એરપોર્ટ ગેટ પર એકઠા થઈ ગયા હતા અને રાત્રે રસ્તા પર સૂઈને એરપોર્ટ રોડ અવરોધી નેતાને બહાર લઈ જવાના કોઈપણ પ્રયાસ ને રોકવાનો પ્રયત્ન કર્યો હતોસુરક્ષા દળોએ ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવા માટે આંસુ ગેસના શેલ છોડ્યા હતા. એ દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ છે.
પરિસ્થિતિ બેકાબૂ બનતાં બિષ્ણુપુર જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. જ્યારે ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ, થૌબલ અને કાકચિંગના ખીણના જિલ્લાઓમાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકતા આદેશો લાગુ કરવામાં આવ્યા છે.
ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુરના ખીણના જિલ્લાઓમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી.

બીજી તરફ અરમ્બાઈ તેંગગોલે આજથી ખીણના જિલ્લાઓમાં દસ દિવસનું સંપૂર્ણ બંધ જાહેર કરતાં સમગ્ર મણિપુરમાં વિરોધ પ્રદર્શન વિસ્તરવાની સંભાવનાને કારણે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવૃત્તિ રહી છે.
આ પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડના કારણે સર્જાઇ દુર્ઘટના : 12 મુસાફરો ટ્રેનમાંથી નીચે પટકાયા, 5 લોકોના મોત
કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ ?
મેઈતેઈ સંગઠન અરમ્બાઈ તેંગગોલના જે નેતાની ધરપકડમે પગલે ફરી અશાંતિ સર્જાઇ છે તે કનન સિંહ ફેબ્રુઆરી 2024માં એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મોઈરાંગથેમ અમિતના ઘર પર હુમલો અને ત્યારબાદ વરિષ્ઠ પોલીસ અધિકારીના અપહરણના મુખ્ય આરોપી છે. એ ઘટના બની ત્યારે તે રાજ્ય પોલીસની કમાન્ડો યુનિટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યો હતો. બાદમાં તેને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા પછી તે અરમ્બાઈ તેંગગોલ સંગઠનમાં જોડાયો હતો.